મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે આગામી 18 મહિનામાં છત્રપતિ સંભાજી નગર, નાશિક અને નાંદેડ જિલ્લાઓની 19 કોલેજોમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓને ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને પ્રોજેક્ટના સમયસર અને સંકલિત અમલીકરણની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મહાપ્રેઇટ (મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી લિમિટેડ) અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ હાથ ધરવામાં આવેલા કાર્યોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન અધિકારીઓએ અમલીકરણના આયોજનની વિગતો રજૂ કરી હતી જેમાં ટેકનિકલ શિક્ષણ નિયામક હેઠળની સંસ્થાઓમાં 45 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતાની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 50 ટકા સંગ્રહ ક્ષમતા સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ સામેલ હશે.
કુલ આયોજિત ક્ષમતામાંથી ૧૫ મેગાવોટ નેટ મીટરિંગ દ્વારા, ૫ મેગાવોટ મીટર પાછળના સ્થાપનો દ્વારા અને ૨૫ મેગાવોટ ઓપન એક્સેસ મોડેલ દ્વારા વિકસાવવામાં આવશે. આ પહેલ શૈક્ષણિક સંસ્થાઓના વીજળી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવી અપેક્ષા છે. એ સિવાય પરંપરાગત વીજ સ્રોતો પર નિર્ભરતા ઘટાડશે. અધિકારીઓએ પ્રધાનને માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો છે અને 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.