અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીનો રિપોર્ટ લગભગ તૈયાર થઇ ચૂક્યો છે. તેમજ આગામી 48 કલાકમાં સત્તાધિકારીને સુપત્ર પણ કરી શકે છે.
રિપોર્ટ નિર્ધારિત સમય મર્યાદામાં સબમિટ કરવામાં આવશે
આ અંગે મળતી માહિતી મુજબ તપાસ માટે એસઆઇટી ને ફાળવેલ સમય બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. જોકે, ટીમનો કાર્યકાળ વધારવાનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિપોર્ટ નિર્ધારિત સમય મર્યાદામાં સબમિટ કરવામાં આવશે.
નિર્ધારિત પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું ન હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં દાન ચોરીમાં સીધા સંડોવાયેલા આરોપીઓ અને વહીવટી સ્તરે બેદરકારી માટે જવાબદાર અધિકારીઓની અલગથી ઓળખ કરવામાં આવી છે. તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે મંદિર ટ્રસ્ટ અને બેંક વચ્ચેના કરારની નિર્ધારિત પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું ન હતું.
મંદિર ટ્રસ્ટની છબી ખરાબ થઈ શકે છે
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ચોરીની ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કારણ કે તેનાથી મંદિર ટ્રસ્ટની છબી ખરાબ થઈ શકે છે. સૂત્રો જણાવે છે કે ચોરીની જાણ થવા છતાં, સમયસર જરૂરી પગલાં લેવામાં આવ્યા ન હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
ટીનુ યાદવની ભૂમિકા અંગે પણ પ્રશ્નો
આ તપાસ દરમિયાન એસઆઈટીએ ટીનુ યાદવની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. રિપોર્ટ મુજબ એક જ વ્યક્તિ પર વધુ પડતી નિર્ભરતા અને દેખરેખ પ્રણાલીમાં ખામીઓને કારણે દાન ગણતરીની સુરક્ષા જોખમાઈ હતી.
જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વેગ પકડશે
હાલમાં તમામની નજર હવે એસઆઇટીના અંતિમ રિપોર્ટ પર ટકેલી છે. તેમજ એવી અપેક્ષા છે કે રિપોર્ટ જાહેર થયા બાદ દોષિતો સામે વધુ કાર્યવાહી કરવાની અને વહીવટી જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વેગ પકડશે.