Wed Jul 15 2026

Logo

યોગી સરકારનો સપાટો,આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીના 38 ભવન તોડી પડાશે

2026-07-15 20:52:19
Author: Chandrakant Kanoja
Article Image

રામપુર: ઉત્તર પ્રદેશના યોગી સરકાર દ્વારા સપા નેતા આઝમ ખાનની મિલકત પર  કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આઝમ ખાનની માલિકીની જૌહર યુનિવર્સિટીના કેટલાક ભાગોને તોડી પાડવા માટે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવશે. જેમાં જૌહર યુનિવર્સિટીના 40 માંથી 38 ગેરકાયદે ભવન તોડી પાડવામાં આવશે. 

આ અંગે રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ જૌહર યુનિવર્સિટીના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જેમાં માત્ર બે ભવનના જ પ્લાન પાસ કરવામાં આવ્યા છે. તેમજ 20 દિવસમાં ભવન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

આ કાર્યવાહી  ઉત્તર પ્રદેશ ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1973ની કલમ 27(1) હેઠળ કરવામાં આવી છે. ઓર્ડરમાં વિગતવાર સુનાવણી અને દસ્તાવેજોની તપાસ બાદ યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા 38 ભવનોને  ગેરકાયદે બાંધકામ ગણીને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે.

યુનિવર્સિટી પ્રશાસને 8 જુલાઈના રોજ પોતાનો જવાબ દાખલ કર્યો હતો.

જૌહર યુનિવર્સિટીના બાંધકામની તપાસ શરૂ કરવામાં આવી હતી. 

રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અજય કુમાર દ્વિવેદીએ કહ્યું કે જિલ્લામાં ગેરકાયદે બાંધકામો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રાદેશિક જુનિયર એન્જિનિયરના રિપોર્ટના આધારે મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના બાંધકામની તપાસ શરૂ કરવામાં આવી હતી.

યુનિવર્સિટીએ પોતાનો પક્ષ રજૂ કર્યો 

આ પછી યુનિવર્સિટી મેનેજમેન્ટને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. યુનિવર્સિટી વહીવટીતંત્રે 8 જુલાઈએ તેનો જવાબ દાખલ કર્યો હતો, જ્યારે 15 જુલાઈના રોજ વ્યક્તિગત સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટી અને ડેવલપમેન્ટ ઓથોરિટી બંનેના અધિકારીઓ અને વકીલો હાજર હતા.