હૈદરાબાદ: ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા 28 વર્ષીય બેટર સરફરાઝ ખાને ફરી એક વાર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન માટે પોતાના દાવો રજુ કર્યો છે. હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં હૈદરાબાદ સામેના મેચમાં સરફરાઝે શાનદાર બેવડી સદી ફટકારી.
19 ચોગ્ગા અને 9 મોટા છગ્ગા સાથે સરફરાઝે 219 બોલમાં 227 બનાવ્યા. સરફરાઝે માત્ર 206 બોલમાં 200 રનનો આંકડો પાર કર્યો હતો.
સરફરાઝની બેવડી સદીને કારણે મુંબઈનો સ્કોર 500 રનને પાર પહોંચ્યો, આ દરમિયાન કેપ્ટન સિદ્ધેશ લાડે પણ સદી ફટકારી છે, તે 104 રન બનાવીને આઉટ થયો. સિદ્ધેશ લાડ અને સરફરાઝ ખાને ચોથી વિકેટ માટે 249 રનની પાર્ટનરશીપ કરી હતી. રોહિત રાયડુએ સિદ્ધેશને આઉટ કર્યો અને રક્ષાને સરફરાઝને ક્લીન બોલ્ડ કર્યો.
સરફરાઝ શાનદાર ફોર્મમાં:
નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી ડોમેસ્ટિક ODI ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝે સારી સ્ટ્રાઈક રેટ સાથે કેટલીક તાબડતોબ ઇનિંગ્સ રમી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામે તેણે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે લિસ્ટ A ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી અડધી સદી હતી.
હવે રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને સરફરાઝ ખાને ફરી BCCIના સિલેક્ટર્સને પડકાર ફેંક્યો છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-25 માં તે મુંબઈની ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો, તેણે સાત મેચમાં 65.80 ની એવરેજ અને 203.80ની સ્ટ્રાઇક રેટથી 329 રન બનાવ્યા હતા.
સરફરાઝની અવગણના:
સરફરાઝ છેલ્લે નવેમ્બર 2024 માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો, ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચમાં તક આપવામાં આવી ન હતી. ત્યાર બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, હજુ તે કમબેક કરવાની રાહ જોઈ રહ્યો છે.