Tue Jan 27 2026

Logo

White Logo

પાકિસ્તાનમાં ભગવાન રામના પુત્ર ‘લવ’ના મંદિરનો થયો જીર્ણોદ્ધાર! જેના પરથી પડ્યું ‘લાહોર’ નામ

Lahor   3 hours from now
Author: Devayat Khatana
Video

લાહોર: પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વાત આવે એટલે લઘુમતીઓ પરના અત્યાચારનો મુદ્દો ચર્ચાઇ પરંતુ આ વખતે પાકિસ્તાનથી રામભક્તો અને ઇતિહાસપ્રેમીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. લાહોર કિલ્લામાં સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક 'લૌહ મંદિર' (Loh Mandir) નું જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વાલ્ડ સિટી લાહોર ઓથોરિટી (WCLA) દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે આ ઐતિહાસિક મંદિરના દ્વાર હવે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ભગવાન રામના પુત્ર 'લવ' ને સમર્પિત છે અને એવી માન્યતા છે કે તેમના નામ પરથી જ આ શહેરનું નામ 'લાહોર' પડ્યું છે.

WCLA ની પ્રવક્તા તાનિયા કુરેશીએ જણાવ્યું હતું કે, આ જીર્ણોદ્ધાર અભિયાનનો મુખ્ય હેતુ લાહોર કિલ્લાના સમૃદ્ધ આંતર-સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો છે. લૌહ મંદિરની સાથે સાથે શીખ યુગના હમ્મામ અને મહારાજા રણજીત સિંહના 'અઠદારા પેવેલિયન' નું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી મુગલ મસ્જિદો, શીખ-હિંદુ મંદિરો અને બ્રિટિશ કાળની સંરચનાઓનો મૂળ વૈભવ જળવાઈ રહે.

આ પ્રોજેક્ટમાં ઐતિહાસિક સંશોધનોનો પણ મોટો ફાળો રહ્યો છે. વર્ષ 2025 માં એક શીખ સંશોધકે આ કિલ્લામાં શીખ યુગ (1799-1849) ના લગભગ 100 સ્મારકોની ઓળખ કરી હતી. આ વિરાસતને પ્રવાસીઓ સુધી વધુ સારી રીતે પહોંચાડવા માટે અમેરિકા સ્થિત શીખ સંશોધક ડો. તરુણજીત સિંહ બુટાલિયાને 'સિકખ એમ્પાયર ડ્યુરિંગ લાહોર ફોર્ટ' શીર્ષક હેઠળ ગાઈડબુક લખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. બુટાલિયાએ આ કિલ્લાને શીખ માનસમાં ઊંડે ઉતરેલું ભાવનાત્મક સ્મારક ગણાવ્યું છે.

લાહોર કિલ્લાનો આ જીર્ણોદ્ધાર માત્ર એક બાંધકામ નથી, પરંતુ તે દક્ષિણ એશિયાના સહિયારા ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ છે. લૌહ મંદિર ખુલવાને કારણે હવે દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને પર્યટકો લાહોરના મૂળ પાયા સમાન આ ધાર્મિક સ્થળના દર્શન કરી શકશે. આ પગલાંને સાંસ્કૃતિક સૌહાર્દ અને પ્રાચીન વારસાની જાળવણીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.