Tue Jan 27 2026

Logo

White Logo

બજાર ખૂલતા સોના-ચાંદીમાં તેજીનો તરખાટ: ચાંદી 3.50 લાખને પાર, સોનું ઓલ ટાઈમ હાઈ પર

8 hours ago
Author: Tejas Rajpara
Video

અમદાવાદ: સોના ચાંદીમાં પાછલા ઘણા સમયથી આગ ઝરતી તેજીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત સોના ચાંદીએ જૂના રેકોર્ડને તોડી નાખ્યા છે. બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં એટલો મોટો ઉછાળો જોવા મળ્યો કે રોકાણકારો અને ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા છે. વૈશ્વિક અસ્થિરતા અને આગામી કેન્દ્રીય બજેટને લઈને ચાલી રહેલી અટકળોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ અણધારી તેજી આવી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ વધારાએ બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે, જેના કારણે લગ્નસરાની ખરીદી કરનારા લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.

આજે ચાંદીની કિંમતમાં રૂ. 23,146 થી વધુનો જંગી ઉછાળો આવતા તે પ્રતિકિલો રૂ. 3,56,932 ના સ્તરે પહોંચી ગઈ છે. કેટલાક શહેરોમાં તો ચાંદી રૂ. 3.75 લાખ સુધી પણ બોલાઈ રહી છે. બીજી તરફ, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,58,293 ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ઘરેણાં માટે વપરાતું 22 કેરેટ સોનું રૂ. 1,48,610 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. નોંધનીય છે કે આ ભાવમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ નથી; જો આ ખર્ચ ઉમેરવામાં આવે તો 24 કેરેટ સોનું રૂ. 1.70 લાખની આસપાસ પડી શકે છે.

તેજી પાછળના મુખ્ય કારણો

સોના-ચાંદીમાં આવેલી આ તેજી પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર છે. પ્રથમ, મધ્ય પૂર્વ અને યુરોપમાં વધતા ભૌગોલિક તણાવને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ (Safe Haven) માની રહ્યા છે. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર નબળો પડતા સોનાની માંગમાં વૈશ્વિક સ્તરે વધારો થયો છે, જ્યાં સોનું $5,000 પ્રતિ આઉન્સ અને ચાંદી $110 પ્રતિ આઉન્સના સ્તરને વટાવી ગઈ છે. ત્રીજું કારણ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ છે; બજારને આશંકા છે કે જો ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો નહીં થાય તો ભાવ હજુ પણ વધી શકે છે, જેને કારણે સટ્ટાકીય ખરીદી વધી છે. 

NCR વિસ્તારમાં અત્યારે સોના-ચાંદીના ભાવ દેશમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું રૂ. 1,62,110 અને ચાંદી રૂ. 3,60,100 પર પહોંચી છે. બજારના વિશ્લેષકોના મતે, 1 ફેબ્રુઆરી (બજેટ) સુધી બજારમાં આવી જ અફરાતફરી અને ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જે લોકો લગ્ન માટે સોનું ખરીદવા માંગતા હોય તેમને સલાહ છે કે એકસાથે મોટી ખરીદી કરવાને બદલે ટુકડે-ટુકડે ખરીદી કરવી (DCA પદ્ધતિ), જેથી ભાવમાં થતા ફેરફારનો લાભ મળી શકે અને જોખમ ઘટાડી શકાય.