મુંબઈ: ગઈ કાલે રવિવારે ભારત સરકારે પદ્મ પુરષ્કારોની જાહેરાત કરી. સરકારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો. શિવસેના(UBT) ના સાંસદ સંજય રાઉતે ભગત સિંહ કોશ્યારીને આ સન્માન આપવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની MVA સરકારને તોડી પાડીને કોશ્યારીએ લોકશાહી અને બંધારણની હત્યા કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું અપમાન કરનારા કોશ્યારીને પદ્મ ભૂષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને એકનાથ શિંદે સહિત મહાયુતિ સરકારે નિંદા કરવી જોઈએ.
રાઉતે દાવો કે કોશ્યારી ઉદ્ધવ ઠાકરેની બહુમતી વાળી સરકારને તોડીને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવવા ઇચ્છતાં હતા. રાઉતે કહ્યું,"ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને ઉથલાવીને તેમણે લોકશાહી અને બંધારણની હત્યા કરી હતી."
દેવેન્દ્ર ફડણવીસે રાઉતના નિવેદનને વખોડ્યું:
સંજય રાઉતનાં આ નિવેદનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે "સંકીર્ણ બુધિવાળા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે."
ફડણવીસે ભગતસિંહ કોશ્યારીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી. ફડણવીસે કહ્યું કે કોશ્યારીએ 'વન રેન્ક, વન પેન્શન' સમિતિની અધ્યક્ષતા કરી હતી.
કોશ્યારીનાં કાર્યકાળ દરમિયાન વિવાદ:
ભગત સિંહ કોશ્યારી ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન રહ્યા હતાં. કેન્દ્ર સરકારે વર્ષ 2019માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતાં, તેઓ 2023 આ પદ પર રહ્યા હતાં. તેમનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો હતો, તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારની ભલામણ છતાં રાજ્યપાલે રાજ્ય વિધાન પરિષદમાં 12 ખાલી બેઠકો ભરી નથી.
ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને "જૂના સમયના પ્રતિક" ગણાવ્યા હતાં, જેણે કારણે ઘણા લોકો નારાજ થયા હતાં.