Sat Jul 11 2026

Logo

પુણે મોશી દુર્ઘટના: કચરાના પ્લાન્ટમાં ફસાયેલા 8 લોકો માટે ત્રીજા દિવસે બચાવકામગીરી તેજ

2026-07-10 21:34:02
Author: Mumbai Samachar Team
Article Image

પુણેઃ પુણે જિલ્લાના મોશી ખાતે કચરાના પ્રોસેસિંગ યુનિટમાં ત્રણ દિવસ પહેલા કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો. શુક્રવારે બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી અને ટીમોએ કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું જેથી હજુ પણ ફસાયેલા આઠ લોકો સુધી સુરક્ષિત પહોંચનો માર્ગ બનાવી શકાય.

પિંપરી-ચિંચવડ ઔદ્યોગિક વિસ્તારના મોશી ખાતે આવેલા 'વેસ્ટ-ટુ-એનર્જી' પ્લાન્ટ પર બનેલી ત્રણ માળની ઈમારત પર બુધવારે બપોરે કચરાનો વિશાળ ઢગલો તૂટી પડતાં તે ધરાશાયી થઈ હતી, જેના પરિણામે લગભગ ૧૮ લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ઘટનાસ્થળે વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં નવ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ આઠ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની દેખરેખ હેઠળ કાટમાળ દૂર કરવા માટે ખોદકામ કરવા જેસીબી  અને ડમ્પર સહિતના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. મશીનોના કંપન અને હિલચાલ અંદર ફસાયેલા લોકોને જોખમમાં ન મૂકે તેની ખાતરી કરવામાં આવી રહી છે.

ઘટના બાદ ૪૫ કલાકથી વધુ સમયથી આ અભિયાન ચાલુ છે, જેમાં સત્તાવાળાઓ અગાઉ બચાવી લેવાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે ફસાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કમિશનર વિજય સૂર્યવંશી, પોલીસ કમિશનર વિજયકુમાર ચૌબે અને એનડીઆરએફ કમાન્ડન્ટ પ્રવીણ ધટ્ટેએ સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી અને આગામી બચાવ વ્યૂહરચનાની ચર્ચા કરી હતી.