Sat Jul 11 2026

Logo

અમદાવાદ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા! 30 હજારથી વધુ પોલીસ જવાનોને સોપાયા ખાસ પોઈન્ટ્સ

2026-07-11 21:50:11
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદની રથયાત્રા માટે શહેર પોલીસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મંદિરની આસપાસના વિસ્તારમાં પણ પોલીસ ટીમને ડ્યૂટી સોંપી દેવામાં આવી છે. ખાસ કરીને જમાલપુર જગન્નાથ મંદિર અને સરસપુરમાં મામાના ઘરે ખાસ એક ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.  30 હજારથી વધુ પોલીસ જવાનો, SRP અને પેરામિલિટરી ફોર્સ, અતિ આધુનિક ટેક્નોલોજી એવી 65 ડ્રોન, CCTV અને ફેસ રેકોગ્નિશન કેમેરાથી સમગ્ર રથયાત્રા રૂટ પર બાજ નજર રાખવામાં આવશે. 

શું કહ્યું શહેર પોલીસ કમિશનરે?
આ સંદર્ભે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સમગ્ર રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.  કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસની ટીમ સજ્જ છે. 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ રથયાત્રા શરૂ થાય ત્યાંથી લઈને છેક સરસપુર સુધી અને ફરી સરસપુરથી લઈને છેક જગન્નાથપુરી જમાલપુર મંદિર સુધી પોલીસ જવાનો ખડેપગે રહેશે.  એસઆરપીની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓને રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. 

કેટલા પોલીસ સ્ટેશનની હદ લાગે?
રથયાત્રાની વાત કરવામાં આવે તો સમગ્ર રથયાત્રા 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેમાં કેટલાક વિસ્તારો ખૂબ સંવેદનશીલ છે. જે તે વિસ્તારમાં મહોલ્લા કમિટી યોજીને ભાઈચારો જળવાઈ રહે એ પ્રકારે પગલાં લેવાયા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈ અફવા ન ફેલાવે, ખોટી વાત પોસ્ટ ન કરે, ગેરમાર્ગે દોરાય એવી કોઈ પોસ્ટ ન થાય એ માટે સાયબર સેલને પણ જવાબદારી આપવામાં આવી છે. ખાસ કરીને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે, જો કોઈ શંકાસ્પદ મુદ્દો જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરે. આ વર્ષે સમગ્ર રથયાત્રાના રૂટ પર 65 ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. અનેક એવા સ્થાને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ફેસ ડિટેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખાસ વૉચ રાખવા ટીમને આદેશ આપવામાં આવ્યા છે.