Sat Jul 11 2026

Logo

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ ડૂબી, 15 થી વધુના મોતની આશંકા

Hanoi / Ho Chi Minh City   2026-07-11 16:02:40
Author: Vimal Prajapati
Article Image

હનોઈ / હો ચી મિન્હ સિટી: વિયેતનામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભારતીય દુતાવાસ દ્વારા પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે દુતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયાં છે. જો કે, આંકડો વધી શકે તેવી શક્યતા હોવાનું પણ સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે. 

ભારતીય દુતાવાસે મદદ અને સહાય માટે નંબર જાહેર કર્યાં

પ્રભાવિત પરિવારોની મદદ કરવા માટે હો ચી મિન્હ સિટીમાં આવેલ ભારતીય દુતાવાસમાં એક કંટ્રોલ રૂમ બનાવાવમાં આવ્યો છે. ભારતીય દુતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, દુર્ધટના સંબંધિત જાણકારી અને મદદ માટે ભારતીય દુતાવાસના કંટ્રોલ રૂમમાં ફોન કરી શકાશે. વધુમાં કહ્યું કે, હનોઈમાં પણ એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. +84362817930, +84915523714, +84334520414 અને +84913089165 (હનોઈ) આ નંબર પરથી આ દુર્ધટના સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકાશે અને પુછપરછ કરી શકાશે. 

આ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ શું કહ્યું?

દુર્ધટનાની વાત કરવામાં આવે તો, ઓશન પીયર આઈલેન્ડ કંપની દ્વારા સંચાલીત સ્પીડબોટ ‘હૉન મે રટ’ નામની જગ્યાએથી આ બોટ મુસાફરોને લઈને ‘એન થૉઈ પોર્ટ’ તરફ જઈ રહી હતી. આ દુર્ઘટના મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, બોટમાં સવાર દરેક લોકો દરિયામાં પડી ગયાં હતાં. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.

જો કે, બોટ શા કારણે ડૂબી તેની કોઈ જાણકારી પ્રકાશમાં આવી નથી. સ્થાનિક સમય પ્રમાણે આજે બપોર એક વાગ્યાની આસપાસ આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની વીડિયા પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આસપાસ રહેલી બોટમાં સવાર લોકો પણ આ દુર્ઘટના દરમિયાન મદદ માટે આવ્યાં હતાં, જેથી અનેક લોકોનો જીવ બચાવી શકાયો છે. 

બચાવ કાર્યમાં મુશ્કેલીઓ શા માટે આવી?

આ બોટ ડૂબી ત્યારા આસપાસની અન્ય બોટ મદદ માટે ઘટના સ્થળે આવી પહોંચી અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બચાવ કાર્ય કરી રહેલા એક નાવિકે જણાવ્યું કે, દુર્ઘટના સર્જાઈ તેની પાંચ જ મિનિટમાં તેઓ ત્યાં પહોંચી ગયાં હતાં. પરંતુ અનેક લોકો બોટની અંદર ફસાઈ ગયાં હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. આમાંથી અમુક લોકોનો જ જીવ બચી શક્યો! અત્યારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.