મુંબઈ: ચોમાસુ સત્રના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતો માટે મોટી દેવા માફીની જાહેરાત કરી. મહાત્મા ફૂલે યોજનાના જે ખેડૂતોને પહેલાં ૫૦ હજાર સુધીની રાહત મળવાની હતી, તેમને હવે ૨ લાખ રૂપિયા સુધીની દેવા માફી મળશે.
છેલ્લા ત્રણ વર્ષમાંથી બે વર્ષ લોનના હપ્તા ભરનારા તમામ ખેડૂતો આ યોજના માટે પાત્ર બનશે. ફડણવીસે આ પ્રસંગે કહ્યું કે પહેલીવાર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે આ એક મોટી રાહતના સમાચાર છે.
ફડણવીસે કહ્યું કે, દેવા માફી એ પરિસ્થિતિની જરૂરિયાત સમજીને કરી રહ્યા છીએ, તેનાથી ખેડૂત ધનિક નથી થઈ જતો. તેને શાહુકાર પાસે ન જવું પડે એટલા માટે દેવા માફી કરી રહ્યા છીએ. વિધાનસભા ચૂંટણી પહેલા દેવા માફી કરવાનું આશ્વાસન આપ્યું હતું,
ખેડૂતો મુશ્કેલીમાં હોવાને કારણે આ નિર્ણય લીધો. દેવા માફી ઉપરાંત મહાયુતિ સરકાર દર વર્ષે ૨૫ હજાર કરોડ રૂપિયા વીજ બિલ માફી માટે આપે છે. આ પૈસા આપણે ભરીએ છીએ અને કૃષિ વિભાગની યોજનાઓ તથા સબસિડી પર ૯૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ થાય છે.
છત્રપતિ શિવાજી મહારાજ દેવા માફી યોજનાના લોકોને મહાત્મા જ્યોતિરાવ ફૂલે યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૦માં ૩૪ લાખ ખેડૂતોને ૪ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા.
અત્યાર સુધીની યોજનાઓમાં આ સૌથી મોટી યોજના છે. રણધીર સાવરકરના નેતૃત્વમાં તમામ ધારાસભ્યો મને મળ્યા હતા, મેં તેમને આંકડા બતાવ્યા. તેમણે ૫૦ હજાર રૂપિયાની શરત હટાવવાની માંગણી કરી.
ધારાસભ્યોએ કહ્યું કે જો ૫૦ હજારની મર્યાદા વધારીને એક લાખ કરવામાં આવશે, તો પણ બે લાખ ખેડૂતો બાકી રહી જશે. તેઓ પણ બાકી ન રહેવા જોઈએ. તેમણે કહ્યું કે આના પર વ્યાપક વિચાર કરવો જોઈએ. તેથી, હવે અમે નિયમિત લોન ભરપાઈ કરનારા ખેડૂતોને ૫૦ હજાર રૂપિયાના બદલે ૨ લાખ રૂપિયાનું નિયમિત અનુદાન આપીશું," એવું ફડણવીસે જણાવ્યું હતુ.