મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે આજે પંઢરપુર માટે પુનર્વસન નીતિને મંજૂરી આપીને આ તીર્થધામમાં વિકાસ કાર્યોનો માર્ગ મોકળો કર્યો, સાથે જ મરાઠવાડાના જાયકવાડી સિંચાઈ પ્રોજેક્ટના ફેઝ ૨ માટે રૂ. ૬,૪૭૭.૮૮ કરોડની ફાળવણીને પણ મંજૂરી આપવામાં આવી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ૨૦૩૨ ની યુસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજવા માટે પુણેની દાવેદારીને પણ સમર્થન આપવામાં આવ્યું, 'મહાખનિજ ૨.૦' પોર્ટલ હેઠળ ગૌણ ખનિજ ખનન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો અને નાણાં તથા આયોજન વિભાગોની પુનઃરચના કરવામાં આવી.
સત્તાવાર અખબારી યાદી અનુસાર, પંઢરપુરમાં પ્રકલ્પ પ્રભાવિત લોકો માટેની પુનર્વસન નીતિ આ તીર્થધામના ધાર્મિક મહત્વ, સ્થાનિક પરિસ્થિતિઓ અને ત્યાં હાથ ધરવામાં આવેલા રૂ. ૩૯૯૩.૯૦ કરોડના વિકાસ કાર્યોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
કેબિનેટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા કોન્ટ્રાક્ટરોના બાકી લેણાં સમયસર ચૂકવવાની સુવિધા માટે જાહેર બાંધકામ વિભાગમાં 'ટ્રેડ્સ પ્લેટફોર્મ' સિસ્ટમના ઉપયોગને પણ મંજૂરી આપી.
ગઢચિરોલીમાં જિલ્લા રમતગમત સંકુલના બીજા તબક્કા હેઠળ રૂ. ૮૦.૧૨ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ રમતગમત સુવિધાઓ માટે અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય એક નિર્ણયમાં, કેબિનેટે સોલાપુર ઉત્તરના સદર બજાર વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવામાં આવેલી ૩,૯૧૦ સ્કે. મી. સરકારી જમીન શ્રી જેમ્બુમણી મોચી સમાજ સેવા મંડળને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ફાળવી છે.
સરકારે પુણે જિલ્લાના મોશી ખાતે ૧૫ હેક્ટર જમીન ક્રાંતિવીર ચાફેકર સમિતિ, ચિંચવડ ગામ સ્થિત ક્રાંતિતીર્થ ચાફેકર બ્રધર્સ નેશનલ મ્યુઝિયમ અને ચિંચવડના પુનરુત્થાન સમરસતા ગુરુકુલમ સંચાલિત અનુદાનિત આદિવાસી નિવાસી શાળા માટે ફાળવી. આ જમીન પર પછાત અને વંચિત આદિવાસી સમુદાયો માટે એક વ્યાપક વિકાસ કેન્દ્ર સ્થાપવામાં આવશે.
આ સિવાય કેબિનેટે ૨૦૩૨ માં સાઇકલિંગ ઇવેન્ટ 'યુસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપ' મેજબાની કરવા માટે પુણેની દાવેદારીને સરકારી સમર્થન આપવાની મંજૂરી આપી છે. આ ઇવેન્ટના આયોજન માટે સરકાર સમર્થન પત્ર, નાણાકીય ગેરંટી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઓપરેશનલ જરૂરિયાતો માટે સહાય પૂરી પાડશે.
કેબિનેટે જાયકવાડી પ્રોજેક્ટના ફેઝ-ટુ માટે રૂ. ૬,૪૭૭.૮૮
કરોડની નાણાકીય જોગવાઈને મંજૂરી આપી છે, જે ગોદાવરી બેસિનમાં સિંદફણા નદી પરના માજલગાંવ ડેમ પ્રોજેક્ટને વેગ આપશે. અખબારી યાદી મુજબ, આ પ્રોજેક્ટથી છત્રપતિ સંભાજીનગર, અહમદનગર, બીડ, પરભણી અને નાંદેડ જિલ્લામાં આશરે ૧,૩૧,૬૫૨ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા મળવાની ધારણા છે. આ ઉપરાંત તેનાથી ઔદ્યોગિક જળ પુરવઠો, મત્સ્યઉદ્યોગ અને વીજ ઉત્પાદનને પણ વેગ મળશે.