કરાચીઃ પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડે 2023માં પોતાના ખેલાડીઓને વન-ડે વર્લ્ડ કપની મૅચો રમવા અમદાવાદ મોકલ્યા હતા, પણ બાંગ્લાદેશ આગામી ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપમાં પોતાની મૅચો ભારતમાં ન રમે એ માટે પાકિસ્તાન એને ખુલ્લેઆમ પ્રોત્સાહિત કરી રહ્યું છે જેમાં એણે બાંગ્લાદેશ (Bangladesh)ને ઑફર કરી છે કે એ આગામી વિશ્વ કપની મૅચો પાકિસ્તાનમાં રમી શકે છે.
પાકિસ્તાને આ વિશેનો સંદેશ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC))ને મોકલ્યો છે. આઇસીસી બાંગ્લાદેશના મુદ્દે આજે આખરી નિર્ણય લેવાનું છે.
ભારતમાં પોતાના ખેલાડીઓની સલામતી નહીં રહે એવું કારણ આપીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ વર્લ્ડ કપ માટે ટીમને ભારત નહીં મોકલવાનું નક્કી કર્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુ નાગરિકોની દરરોજ હત્યા થઈ રહી હોવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને બીસીસીઆઇએ તાજેતરમાં પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ટીમમાંથી કાઢી નાખવા કોલકાતા નાઇટ રાઇડર્સને સૂચના આપી એના જવાબમાં બીસીબીએ વર્લ્ડ કપમાં પોતાની મૅચો ભારતમાં ન રમવાની જાહેરાત કરી હતી.
મૂળ સમયપત્રક મુજબ બાંગ્લાદેશની ચારમાંથી ત્રણ લીગ મૅચ કોલકાતામાં અને એક મૅચ મુંબઈમાં રમાવાની છે. અગાઉ એક અહેવાલ એવો હતો કે બાંગ્લાદેશને કોલકાતા તથા મુંબઈને બદલે એની મૅચો હૈદરાબાદમાં અથવા ચેન્નઈમાં રમવાનું કહેવામાં આવશે.