Tue Jan 27 2026

Logo

White Logo

ગણતંત્ર દિવસ પૂર્વે રામનગરીમાં હાઈ-એલર્ટ: બોમ્બની ધમકી આપનાર યુવક ઝડપાયો

2 days ago
Author: Mumbai Samachar Team
Video

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. દેશના સૌથી સંવેદનશીલ અને આસ્થાના કેન્દ્ર સમાન આ સ્થળને નુકસાન પહોંચાડવાની સૂચના મળતા જ સમગ્ર રામનગરીમાં સુરક્ષાનો કિલ્લો વધુ મજબૂત કરી દેવામાં આવ્યો છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ એક અફવા હોવાનું બહાર આવ્યું છે, છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશ પોલીસના ઈમરજન્સી નંબર 112 પર એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. ફોન કરનારે દાવો કર્યો હતો કે રામ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. આટલી ગંભીર સૂચના મળતા જ અયોધ્યા પોલીસ અને ઈન્ટેલિજન્સ વિભાગની ટીમો તુરંત સક્રિય થઈ ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કરીને ગણતરીના કલાકોમાં જ કોલ કરનાર શખસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તે ઉત્તર પ્રદેશના ગૌંડા જિલ્લાનો રહેવાસી છે. ધરપકડ બાદ કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક માનસિક રીતે અસ્વસ્થ (અસંતુલિત) છે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે અસામાજિક તત્વો અથવા માનસિક રીતે બીમાર વ્યક્તિઓ પ્રસિદ્ધિ મેળવવા માટે આવા ખોટા કોલ કરતા હોય છે. હાલમાં પોલીસ યુવકના મેડિકલ રિપોર્ટ્સ અને તેના બેગ્રાઉન્ડની તપાસ કરી રહી છે.

આ ધમકી બાદ અયોધ્યાની સુરક્ષામાં કોઈ જોખમ ન રહે તે માટે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ રૂટિન તપાસ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આ માત્ર એક માનસિક બીમાર વ્યક્તિનું કૃત્ય છે કે તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છે. હાલ પૂરતું પોલીસે યુવકનું નામ જાહેર કર્યું નથી, પરંતુ કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.