Tue Jan 27 2026

Logo

White Logo

UAE રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ઈરાનમાં સંકટ વચ્ચે યુએઈના રાષ્ટ્રપતિ આવતીકાલથી ભારતના પ્રવાસે

1 week ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આવતીકાલે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગલ્ફ દેશો ખાસ કરીને યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ઈરાનને લઈને પ્રાદેશિક સમીકરણ બદલાઈ રહ્યા છે. 

આ સમયે ભારત અને યુએઈ તેમના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિ ખૂબ જ સારા વ્યક્તિગત સંબંધો ધરાવે છે. આ મજબૂત સંબંધોને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ઝડપી વૃદ્ધિ થઈ છે.

સપ્ટેમ્બર 2023માં યુએઈના રાષ્ટ્રપતિ તરીકે નાહયાને જી-20 લીડર્સ સમિટમાં હાજરી આપી હતી. ત્યાર બાદ નવેમ્બર 2023માં તેમણે વર્ચ્યુઅલ ગ્લોબલ સાઉથ સમિટમાં પણ ભાગ લીધો હતો. જાન્યુઆરી 2024માં તેઓ ગુજરાતમાં 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય મહેમાન હતા. 

2022માં હસ્તાક્ષર કરાયેલ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) એક મોટું પગલું સાબિત થયું છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. 2025માં બંને દેશો વચ્ચે નોન-ઓઇલ વેપાર 37.6 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો, જે પાછલા વર્ષ કરતા 34 ટકા વધુ છે.

યુએઈ ભારતમાં વિદેશી રોકાણનો સાતમો સૌથી મોટો સ્ત્રોત છે. 2000થી યુએઈએ ભારતમાં 22 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. યુએઈમાં એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ભારતીય નિકાસમાં વધારો થયો છે. યુએઈ ભારતનો સાતમો સૌથી મોટો રોકાણકાર છે. યુએઈ ભારતને તેલ અને લિક્વિફાઇડ કુદરતી ગેસ સપ્લાય કરે છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધો પણ મજબૂત થયા છે. 

આ સંદર્ભમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં યુએઈ આર્મીના કમાન્ડર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સકારાત્મક લશ્કરી સહયોગ વધારવા, નિયમિત સંયુક્ત કવાયતો કરવા અને દ્વિપક્ષીય સંરક્ષણ અને દરિયાઈ સહયોગને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.