(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ચિમમાં એક જૂના અને જર્જરિત બંગલાની શુક્રવારે સવારે સુરક્ષા દીવાલનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેના નૌપાડામાં રામ મારુતી રોડ પર દીપ્તી સોસાયટી નજીક વૃંદાવન બંગલો આવેલો છે.
સવારના લગભગ ૯.૩૦ વાગ્યાની આસપાસ બંગલાની સુરક્ષા ભીંતનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો. ફાયરબિગ્રેડ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ તથા સાર્વજનિક બાંધકામ વિભાગના એન્જિનિયર અને અતિક્રમણ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જેસીબી મશીનની મદદથી તૂટી પડેલી દીવાલનો કાટમાળ હટાવ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ બંગલાની ઈમારત અતિ જોખમી એટલે કે સી-વન શ્રેણીમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે રહેવા માટે અયોગ્ય અને તાત્કાલિક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.