(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં મુુલુંડ પશ્ર્ચિમ અને ભાંડુપ પશ્ર્ચિમમાં વૈતરણા પાઈપલાઈનમાં આવતા અઠવાડિયામાં સમારકામ કરવામાં આવવાનું છે, તેથી મંગળવારથી બુધવાર સુધીના ૨૪ કલાક દરમ્યાન મુલુંડ અને ભાંડુપમાં પાણીપુરવઠો બંધ રહેશે. એ સાથે જ થાણે શહેરના અમુક વિસ્તારમાં પણ આ સમય દરમ્યાન પાણી પુરવઠો બંધ રહેશે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ મુલુંડ પશ્ર્ચિમમાં ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની વૈતરણા મેઈન પાઈપલાઈન પરના ૧૨ પાઈપલાઈનના જોડાણ ૨,૭૫૦ મિલીમીટર વ્યાસની અપર વૈતરણા મેઈન પાઈપલાઈન પર સ્થળાંતરિત કરવામાં આવવાના છે. તેમ જ ભાંડુપ પશ્ર્ચિમના ખિંડીપાડા પરિસરમાં ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની વૈતરણા પાઈપલાઈનના લોખંડના ઢાંકણા બેસાડવાનું કામ પણ હાથ ધરવામાં આવવાનું છે.
આ કામ મંગળવાર, ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના સવારના ૧૦ વાગ્યાથી બુધવાર, ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના સવારના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ ૨૪ કલાકના સમયગાળામાં મુલુંડ અને ભાંડુપના અમુક વિસ્તારમાં તેમ જ થાણેના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. નાગરિકોને તકેદારીના પગલારૂપે આગામી દિવસોમાં પાણી ઉકાળીને અને ગાળીને પીવાનું રહેશે.