કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય મતદાતા દિને કેન્દ્રીય ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને દુ:ખદ ગણાવ્યો હતો. તેમજ પંચ ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં પંચ પર વિપક્ષને દબાવવા અને ભારતીય લોકશાહીના પાયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.
ચૂંટણી પંચ ભાજપના ઈશારે વિપક્ષને કચડી નાખવામાં વ્યસ્ત
મમતા બેનર્જીએ એક્સ પર લખ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપના ઈશારે વિપક્ષને કચડી નાખવા અને ભારતીય લોકશાહીના પાયાને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. તેમ છતાં તેમની પાસે મતદાતા દિવસ ઉજવવાની હિંમત છે. આ ઉપરાંત તેમણે પોસ્ટમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું SIR બિનજરૂરી અને ઉતાવળમાં કરી રહ્યું છે. પંચ તાર્કિક અસંગતતાઓ ના નામે નવા બહાના બનાવી રહ્યું છે, જેનાથી સામાન્ય લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમને તેમના ચૂંટણી અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ વર્તનથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું.
SIR મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપ સરકારને અલગ અલગ મુદ્દે ઘેર્યા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એ પહેલા રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પોલીટીકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ની કોલકાતામાં આવેલી ઓફીસ પર દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હોબાળો મચાવ્યો હતો. તેમજ તે સતત SIR મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપ સરકારને અલગ અલગ મુદ્દે ઘેરી રહ્યા છે.