Tue Jan 27 2026

Logo

White Logo

ઝારખંડના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 15 ઉગ્રવાદી ઠાર

5 days ago
Author: Mmumbai Samachar Team
Video

ચાઇબાસાઃ ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૫ નકસલીને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં ટોચના નેતા અનલ દાનો પણ સમાવેશ થાય છે. જેના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ જાણકારી પોલીસે આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સીઆરપીએફની કોબ્રા યુનિટના લગભગ ૧,૫૦૦ સૈનિકો કિરીબુરુ પોલીસ સ્ટેશન વિસ્તારના સારંડા જંગલના કુમડીમાં ઓપરેશનમાં રોકાયેલા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને ૧૫ ઉગ્રવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં તેના ટોચના નેતા પતિરામ માઝી ઉર્ફે અનલ દાનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

આજે સવારે ૬ વાગ્યે શરૂ થયેલું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. તેમણે જણાવ્યું કે સારંડા જંગલમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારથી ચાલી રહ્યું છે, પરંતુ ગોળીબાર ગુરૂવારે સવારે શરૂ થયો હતો. પોલીસ મહાનિરીક્ષક(ઓપરેશન્સ) માઇકલ રાજ એસએ જણાવ્યું કે પોલીસે સારંડા જંગલમાં અનલ દા અને તેના જૂથની હાજરીની બાતમી મળ્યા બાદ આ અભિયાન હાથ ધર્યું હતું.

ગિરિડીહ જિલ્લાના પીરતાંડનો રહેવાસી અનલ દા ૧૯૮૭થી સક્રિય હતો. પોલીસ તેને વર્ષોથી શોધી રહી હતી. ઝારખંડમાં કોલ્હાન અને સારંડાને ઉગ્રવાદીઓનો છેલ્લો ગઢ માનવામાં આવે છે. સુરક્ષા દળોએ બુઢા પહાડ, ચતરા, લાતેહાર, ગુમલા, લોહરદગા, રાંચી અને પારસનાથમાં તેમની હિલચાલ પર અસરકારક રીતે કાબૂ મેળવ્યો છે.