Thu Mar 12 2026

Logo

રૂલ ઓફ 100... શું છે? જાણી લો, વધતી ઉંમર સાથે સંપત્તિની ફાળવણી માટેનું એક સરળ માર્ગદર્શન

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

ફાઈનાન્સના ફંડાઃ મિતાલી મહેતા

આ અગાઉના વિવિધ લેખમાં આપણને જાણવા મળ્યું કે પૈસા કેવી રીતે વધે છે, તે કેટલો સમય ટકે છે અને વિધડ્રોઅલની પસંદગીઓ નાણાકીય સ્વતંત્રતાને કેવી રીતે આકાર આપે છે...
આ તમામ નિયમ સમય સાથે જોડાયેલા હતા પછી તે સંપત્તિ ભેગી કરવાનો તબક્કો હોય કે તેને વાપરવાનો.
જોકે નાણાકીય આયોજનનું એક બીજું તેટલું જ મહત્ત્વનું પાસું છે, જે ઘણી વખત દ્વિધા ઊભી કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધે, તેમ તેમ તમારા રોકાણોમાં કેવા ફેરફારો થવા જોઈએ?
અહીં એક સરળ, સચોટ અને સમયસિદ્ધ માર્ગદર્શિકા મદદરૂપ બને છે રૂલ ઓફ 100.

શું છે ‘રૂલ ઓફ 100’?

રૂલ ઓફ 100 ‘ગ્રોથ’ આધારિત (ઇક્વિટી/શેરબજાર) અને ‘સ્થિરતા’ આધારિત (ડેબ્ટ/કેશ) રોકાણો વચ્ચે સંપત્તિની ફાળવણી કેવી રીતે કરવી, તે વિચારવાની એક સીધી રીત સૂચવે છે.

તેનો વિચાર એકદમ સરળ છે:
ઇક્વિટી ફાળવણી ( ટકા) = 100 તમારી વર્તમાન ઉંમર
તમારા પોર્ટફોલિયોનો બાકીનો હિસ્સો તુલનાત્મક રીતે સ્થિર રોકાણના વિકલ્પોમાં જેમ કે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફિક્સ્ડ ઇન્કમ અથવા રોકડ સમકક્ષ સાધનોમાં રોકવામાં આવે છે.

ઉંમર    ઇક્વિટી   ડેબ્ટ/કેશ 
         (ગ્રોથ)   (સ્થિરતા)    
30     70%         30%
40     60%         40%
50     50%         50%
60     40%         60%

આ તર્ક એકદમ સહજ છે, કારણ કે તે તમારા જોખમને તમારા સૌથી મર્યાદિત સંસાધન સમય સાથે જોડે છે. જ્યારે તમે યુવાન હો, ત્યારે બજારની અસ્થિરતાને પચાવવા માટે તમારી પાસે પૂરતો સમય હોય છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આ ‘બફર’ ઘટતું જાય છે અને ભેગી કરેલી સંપત્તિનું રક્ષણ કરવું એ એટલું જ સ્વાભાવિક બની જાય છે જેટલું ક્યારેક તેને વધારવું હતું.

આ નિયમ આજે પણ કેમ મહત્ત્વનો છે?

આજના સમયમાં બજાર સુધી પહોંચવું પહેલા કરતાં વધુ સરળ છે. ગણતરીની ક્લિક્સમાં કોઈપણ વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરી શકે છે, પરંતુ આ સરળતાએ જોખમ લેવાની વૃત્તિ પણ વધારી દીધી છે. ઘણીવાર ઉંમર, લક્ષ્યો કે સમયની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર.
બીજી તરફ, રૂલ ઓફ 100 આ સમીકરણમાં સંતુલન લાવે છે. તે રોકાણકારોને યાદ અપાવે છે કે રિસ્ક કેપેસિટી (નુકસાન સહન કરવાની ક્ષમતા) ઉમર સાથે ઘટે છે, ભલે રિસ્ક એપેટાઇટ (ઉચ્ચ રિટર્નની ઇચ્છા) યથાવત રહે.

* 30 વર્ષની ઉંમરે બજારમાં આવતા કરેકશન અસુવિધાજનક હોય છે, પણ
* 60 વર્ષની ઉંમરે એ જ કરેકશન તમારી આખી આર્થિક સ્થિતિને ડગમગાવી શકે છે.
સમય સાથે ઇક્વિટીનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડવાથી, આ નિયમ ખાસ કરીને ત્યારે જ્યારે આવકની સ્થિરતા ઘટે. બજારની અસ્થિરતાનો ભાવનાત્મક અને નાણાકીય પ્રભાવ ઓછો કરવાનો પ્રયાસ કરે છે.
આ માર્ગદર્શિકા છે, આદેશ નહીં

રૂલ ઓફ 100 ને કડક સૂત્ર તરીકે નહીં, પરંતુ એક માળખા તરીકે જોવું જરૂરી છે. આ નિયમનું કેટલું પાલન કરવું, તેનો આધાર કેટલાક મુખ્ય પરિબળો પર રહેલો છે:
* નોકરીની સ્થિરતા અને ભવિષ્યની કમાણીની સંભાવના
*  હાલના ભંડોળનું કદ
* નિર્ભર વ્યક્તિઓ અને નાણાકીય જવાબદારીઓ
*  તમારી તાસીર અને જોખમ લેવાની ક્ષમતા

સ્થિર આવક અને લાંબી કામકાજની અવધિ ધરાવનાર વ્યક્તિ માટે સૂચવેલ કરતાં વધુ ઇક્વિટી એલોકેશન યોગ્ય હોઈ શકે છે. જ્યારે નિવૃત્તિ નજીક હોય તેવા વ્યક્તિ વધુ સંયમી અભિગમ અપનાવવાનું પસંદ કરી શકે છે.
આ નિયમનું મૂલ્ય ચોકસાઈમાં નથી, પરંતુ શિસ્ત અને દિશા આપવામાં છે.

આધુનિક ફેરફારો અને સાદગી કેમ હજુ પણ જીતે છે
તાજેતરના વર્ષોમાં રૂલ ઓફ 110 અને રૂલ ઓફ 120 જેવી વિવિધતાઓ સામે આવી છે. આ નિયમો એ સૂચવે છે કે આજના સમયમાં જીવનકાળ લંબાયો છે, અને તેથી નિવૃત્તિનો સમયગાળો પણ લાંબો થયો છે, જેને ધ્યાનમાં રાખીને રોકાણોને વધુ વર્ષો સુધી વૃદ્ધિ આપવી જરૂરી બને છે.

જોકે આ ફેરફારો અમુક રોકાણકારોને અનુકૂળ આવી શકે છે, પરંતુ મૂળ રૂલ ઓફ 100 તેની સાદગીને કારણે આજે પણ લોકપ્રિય છે.
તે યાદ રાખવામાં સરળ છે, અમલમાં મૂકવો સહેલો છે અને દર વર્ષે તેની સમીક્ષા કરવી પણ આસાન છે. સૌથી મહત્ત્વનું એ છે કે, તે રોકાણકારોમાં પોર્ટફોલિયો રીબેલેન્સિંગની આદત કેળવે છે.

-અને છેલ્લે, મૂળભૂત રીતે, રૂલ ઓફ 100 માત્ર ગણિત વિશે નથી, તે પરિપક્વતા વિશે છે. તે આપણને સમજાવે છે કે નાણાકીય આયોજન ગતિશીલ હોવું જોઈએ. જે આક્રમકતા 25 વર્ષની ઉંમરે યોગ્ય હોય, તે 55 વર્ષે અયોગ્ય હોઈ શકે છે. આ નિયમ ભલે બજારના વળતરની આગાહી ન કરે, પરંતુ તે તમારા પોર્ટફોલિયોને તમારા જીવનના તબક્કા સાથે સુસંગત કરે છે.

દુનિયા જ્યારે રોકાણને એક રેસ તરીકે જુએ છે, ત્યારે આ નિયમ એક શાંત સત્ય સમજાવે છે: સફળ રોકાણ એટલે હંમેશાં આક્રમક રહેવું તે નથી, પણ સમય પારખીને ક્યારે સંયમ રાખવો તે જાણવું છે.
લાંબા ગાળે, શ્રેષ્ઠ વળતર કરતા જીવનના ઉદ્દેશ્યો સાથેની સુસંગતતા વધુ મહત્ત્વની છે. કારણ કે સાચી સંપત્તિ એ માત્ર તમે કેટલું કમાયા તેના વિશે નથી, પરંતુ બદલાતા સમય સાથે તમે કેટલી -સમજદારીથી તમારી જાતને અનુકૂળ કરી શકો છો તેના વિશે છે.