નવી દિલ્હીઃ ગત મે મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી દેશમાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાતમાં 86.65 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત 13મી મેના રોજથી અમલી બને તેમ સરકારે સોનાચાંદીની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ચાંદીની આયાત મે, 2025નાં 56.622 કરોડ ડૉલર સામે ઘટીને 7.557 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ગત મે મહિનામાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત)28.21 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે નવી દિલ્હી ખાતે ગત મે મહિનામાં સોનાના વેરા સહિતનાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.60 લાખ આસપાસ રહ્યા, જ્યારે ચાંદીના ભાવ 2.60 લાખ આસપાસ રહ્યા હતા.
દેશમાં સોનાની આયાત માટેના મુખ્ય સ્રોતમાં સ્વિટ્ઝર્લેન્ડ 40ના હિસ્સા સાથે મોખરે છે. ત્યાર બાદ અનુક્રમે યુએઈનો હિસ્સો 16 ટકા અને દક્ષિણ આફ્રિકાનો હિસ્સો અંદાજે 10 ટકા છે. જોકે, ગત મે મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડથી સોનાની આયાતમાં 57.73 ટકાનો અને એપ્રિલ તથા મે મહિનાની કુલ આયાતમાં 20.34 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય બાબત એ છે કે દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુઓની આયાતનો હિસ્સો પાંચ ટકા જેટલો હોય છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત એપ્રિલ અને મે મહિનામાં સોનાની કુલ આયાત ગત સાલના સમાનગાળાની તુલનામાં 60.14 ટકા વધીને 9.04 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાત 33 ટકા વધીને 48.658 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની સોનાની આયાત 24 ટકા વધીને 71.98 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી, પરંતુ પ્રમાણની દૃષ્ટિએ આયાત 4.76 ટકાના ઘટાડા સાથે 721.03 ટનના સ્તરે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકનો સૌથી મોટો સોનાનો વપરાશકાર દેશ છે અને સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની માગ આયાતથી સંતોષાય છે, પરંતુ સોનાની આયાત થતી હોવાથી તેની સીધી અસર ચાલુ ખાતાની ખાધ પર પડતી હોય છે. ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં અથવા તો ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં 0.7 ટકા અથવા તો 7.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, તે પૂર્વેના નાણાકીય વર્ષના સમાનગાળામાં ચાલુ ખાતાની પુરાંત જીડીપીના 1.4 ટકા અથવા તો 13.7 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.
જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 25.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે તે પૂર્વેના નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 22.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી.