દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ડાકોરના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા
ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને પદયાત્રીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. હોળીના પર્વમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો અમદાવાદ-ડાકોર હાઇવે પર જોવા મળી રહ્યો છે. આ માર્ગો પર ભક્તો જય રણછોડ માખણચોરના નાદ સાથે આગળ વધી રહ્યા છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા સમગ્ર હાઇવે ભક્તિના રંગે રંગાયો છે. પદયાત્રીઓની સુવિધા માટે માર્ગમાં અનેક સેવા કેમ્પો કાર્યરત છે.
પાકિસ્તાન વર્લ્ડ કપની બહાર, ન્યૂ ઝીલૅન્ડ સેમિમાં
પલ્લેકેલમાં શ્રીલંકાને 213 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ પાકિસ્તાન એને 147 રન સુધી સીમિત ન રાખી શક્યું એટલે પાકિસ્તાને વર્લ્ડ કપની બહાર થઈ જવું પડ્યું છે. શ્રીલંકાની જેમ પાકિસ્તાનનો પણ આ ટૂર્નામેન્ટમાં ભોગ લેવાઈ ગયો છે અને ગ્રૂપ-2માંથી ન્યૂ ઝીલૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. ઇંગ્લૅન્ડ પહેલેથી જ સેમિમાં ગયું છે. રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝમાંથી જે જીતશે એ ઇંગ્લૅન્ડ સામે પાંચમી માર્ચની સેમિમાં રમશે, જ્યારે ચોથી માર્ચની પ્રથમ સેમિમાં ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા ટકરાશે.
જૂનાગઢના વિસાવદર ભલગામની સીમમાં મારામારી
જૂનાગઢના વિસાવદર ભલગામની સીમમાં મારામારીની ઘટના સામે આવી છે. ટ્રસ્ટની જગ્યાને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થઈ છે. જેમાં રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે બબાલ થઈ છે. સ્વામી સહિતનાઓ સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. સામા પક્ષે દંપતી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાકિસ્તાને શરૂઆતથી રનમશીનને જબરો વેગ આપ્યો
શ્રીલંકા સામેની ગ્રૂપ-2ની સુપર-એઇટની આજની અંતિમ મૅચમાં પાકિસ્તાને 64 રન કે એનાથી વધુ રનના માર્જિનથી જીતવાનું છે એટલે પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ જોરદાર ફટકાબાજી શરૂ કરી છે કે જેથી શ્રીલંકાને તોતિંગ લક્ષ્યાંક આપી શકાય અને જરૂરી માર્જિનથી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી શકાય. પાકિસ્તાને 71 રન માત્ર સાત ઓવરમાં (10.14ના રનરેટથી) બનાવ્યા છે અને એકેય વિકેટ નથી ગુમાવી. ઓપનર સાહિબઝાદા 41 રન અને ફખર ઝમાન 28 રને દાવમાં હતો.
પાકિસ્તાનની બૅટિંગ, 64 રનથી જીતવું જ પડશે: બાબર પડતો મૂકાયો
પલ્લેકેલમાં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની ગ્રૂપ-2ની અંતિમ અને નિર્ણાયક મૅચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. સેમિ ફાઇનલની રેસમાંથી શ્રીલંકા બહાર થઈ ગયું છે, પરંતુ પાકિસ્તાને શ્રીલંકાને લક્ષ્યાંક આપ્યા પછી આ મૅચ 64 રન કે એનાથી વધુ રનના માર્જિનથી જીતવી જ પડશે. એવું થશે તો પાકિસ્તાન બે પૉઇન્ટ ઉપરાંત પૂરતા રનરેટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી શકશે. નહીં તો, ન્યૂ ઝીલૅન્ડ સેમિમાં જશે. એક પૉઇન્ટ ધરાવતા પાકિસ્તાનનો રનરેટ -0.461 છે. ત્રણ પૉઇન્ટ ધરાવતા ન્યૂ ઝીલૅન્ડનો રનરેટ +1.390 છે. ઇંગ્લૅન્ડ આ ગ્રૂપમાંથી સેમિમાં પહોંચી ગયું છે. પાકિસ્તાને આજની ટીમમાં બાબર આઝમ, સઈમ અયુબ અને સલમાન મિર્ઝાને નથી સમાવ્યા.
ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને દૂતાવાસે આપી સૂચના
ઈરાન-ઇઝરાયલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા, બિનજરૂરી અવરજવર ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીયોએ સમાચાર પર નજર રાખવી, આસપાસની સ્થિતિથી માહિતગાર રહેવું અને ભારતીય દૂતાવાસ તરફથી આગળની કોઈ પણ સૂચનાની રાહ જોવી. દૂતાવાસ દ્વારા ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમેરિકા-ઇઝરાયલનો ઈરાન પર હુમલો
ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે તેહરાન સહિત અનેક શહેરોમાં ધડાકા સંભળાયા છે અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપી હતી. અમેરિકી સેના પહેલાથી જ ઈરાનને ચારેય બાજુથી ઘેરી ચૂકી છે.
તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત ફરી
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તેલ અવીવ જઈ રહેલ એર ઈન્ડિયાનું AI 139 વિમાન પાછું આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાન રાખતા એર ઈન્ડિયા કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. કારણ કે, અત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, સતત હુમલાઓ થઈ રહ્યાં છે.
અનેક દેશો પોતાના નાગરિકોને ઈરાન છોડી દેવા આદેશ આપ્યો
જીનીવામાં ત્રીજા રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગયા પછી અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે. મધ્ય પૂર્વમાં તણાવ અને પ્રાદેશિક સંઘર્ષની સંભાવના વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને, અમેરિકા, યુકે, ચીન, ભારત, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને સિંગાપોરે તેમના નાગરિકો અને રાજદ્વારીઓને ઈરાન છોડવાનો આદેશ આપ્યો છે. મધ્ય પૂર્વના ઘણા દેશોમાં દૂતાવાસો બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં તૈનાત અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે.
બટાકાના ભાવ ગગડતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા
ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો અત્યારે ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. બટાકાના બજાર ભાવમાં આવેલા જંગી ઘટાડાને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ગત વર્ષે 20 કિલો બટાકાનો ભાવ રૂપિયા 300 હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 100થી 150 રૂપિયાએ આવી ગયો છે. જેથી ખેડૂતો બટાકાની વાવણીનો ખર્ચ પણ કાઢી શકે તેમ નથી. જેથી હવે સરકાર ખેડૂતો માટે વિશેષ પેકેજ અથવા ટેકાના ભાવે ખરીદી કરે માંગણી કરવામાં આવી છે.
ઈરાને અનેક અમેરિકી નાગરિકોની ધરપકડ કરી
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો વધારે વિકટ બની રહ્યાં છે. અમેરિકાએ ગંભીર આરોપ લગાવ્યા છે કે, ઈરાન અમેરિકન નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. ઈરાની સરકાર અમેરિકન નાગરિકોની ખાસ કરીને બેવડા પાસપોર્ટ ધરાવતા લોકોની નજીવા કારણોસર ધરપકડ કરી રહી છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ઈરાનને ખોટી અટકાયતનો રાજ્ય પ્રાયોજક જાહેર કર્યો છે અને અન્યાયી રીતે અટકાયતમાં રાખેલા તમામ અમેરિકનોને તાત્કાલિક મુક્ત કરવાની માંગણી કરી છે.
તાલિબાનના હુમલામાં 40 પાક સૈનિકોના મોતનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. બંને દેશોએ શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા હોવાના અહેવાલો પણ મળ્યાં છે. અફઘાન તાલિબાનના હુમલાઓમાં ઇસ્લામાબાદમાં લશ્કરી થાણા સહિત અનેક સ્થળોએ આગ લાગી ગઈ, જેમાં 40થી વધુ સૈનિકોના મોત થયા હોવાનો તાલિબાને દાવો કર્યો છે.
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્વકાંક્ષી યોજનાઓની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.