Fri Aug 21 2026

Logo

વંદે માતરમ મુદ્દે શર્મિલા ટાગોરે આપ્યું ચોંકાવનારું નિવેદન, જે માત્ર એક ઈશ્વરમાં રાખે વિશ્વાસ...

2026-08-20 22:43:23
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં અલગ-અલગ ધાર્મિક માન્યતાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમના મતે ‘વંદે માતરમ’ના શરૂઆતના બે અંતરાને અપનાવવા જોઈએ, કારણ કે તેમાં એવી બાબતો નથી જે અલગ ધાર્મિક માન્યતા ધરાવતા લોકો માટે અસહજ સ્થિતિ ઊભી કરે. અત્રે ઉલ્લેખનીય છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ બંગાળી કૃતિની રચના કરી હતી, અને હવે બંગાળની જ દીકરી  શર્મિલા ટાગોરે જ આ  રાષ્ટ્રીય સન્માનિત કૃતિ પર સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે

શર્મિલા ટાગોરે ગુરુવારે એક ખાનગી મીડિયા સાથેની વાતચીત દરમિયાન ‘વંદે માતરમ’ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ માત્ર એક ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે. આવી સ્થિતિમાં ગીતના કેટલાક એવા ભાગો, જેમાં વિવિધ દેવી-દેવતાઓનો ઉલ્લેખ આવે છે, તે તેમની ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત ન હોઈ શકે.

શરૂઆતના બે અંતરાને પ્રાથમિકતા આપવાની વાત

શર્મિલા ટાગોરના જણાવ્યા અનુસાર, ‘વંદે માતરમ’ના પ્રથમ બે અંતરામાં એવો કોઈ વિષય નથી, જે વિવિધ ધાર્મિક માન્યતા ધરાવતા લોકો માટે અસહજતા ઊભી કરે. તેથી તમામ સમુદાયોને સાથે લઈને ચાલવા માટે ગીતના શરૂઆતના બે અંતરાને પ્રાથમિકતા આપી શકાય છે. તેમણે આ મુદ્દાને મુખ્યત્વે ભારતની ધાર્મિક વિવિધતા સાથે જોડીને જોયો છે. તેમના મતે દેશભક્તિની ભાવના જાળવી રાખવાની સાથે વિવિધ સમુદાયોની ધાર્મિક લાગણીઓનું પણ સન્માન કરવું જરૂરી છે.

શર્મિલા ટાગોરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ‘વંદે માતરમ’ના સંપૂર્ણ સંસ્કરણના ગાનને લઈને દેશમાં રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ગીતના સંપૂર્ણ સંસ્કરણના ગાન બાદ આ મુદ્દે રાજકીય પક્ષો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોંગ્રેસ તરફથી લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના શરૂઆતના બે અંતરાનો ઉપયોગ કરવાની પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બીજી તરફ, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીત પ્રત્યે યોગ્ય સન્માન ન દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદને કારણે ‘વંદે માતરમ’ના ઇતિહાસ, તેના વિવિધ અંતરા અને તેના ગાનને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

‘વંદે માતરમ’ને લઈને અભિનેતા મુકેશ ખન્ના પણ અગાઉ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે તો ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત બનાવવાની માંગ પણ કરી હતી. સાથે જ તેમણે ‘જન ગણ મન’ અંગે પણ દાવો કર્યો હતો, જેને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જોકે, રાષ્ટ્રગીત અંગે મુકેશ ખન્નાના દાવાઓને લઈને ઐતિહાસિક તથ્યોના સંદર્ભમાં અલગ-અલગ મત જોવા મળ્યા છે. બીજી તરફ, શર્મિલા ટાગોરનું તાજેતરનું નિવેદન મુખ્યત્વે ધાર્મિક વિવિધતા અને ‘વંદે માતરમ’ના ગાનને લઈને તેમના વ્યક્તિગત અભિપ્રાય પર કેન્દ્રિત છે.

શર્મિલા ટાગોરના નિવેદનનો મુખ્ય મુદ્દો ભારતની ધાર્મિક વિવિધતા અને તમામ સમુદાયોની લાગણીઓના સન્માન સાથે જોડાયેલો છે. તેમનું કહેવું છે કે દેશભક્તિની ભાવનાને જાળવી રાખીને એવો રસ્તો અપનાવી શકાય, જેમાં અલગ-અલગ ધાર્મિક માન્યતા ધરાવતા લોકો પણ અસહજ ન અનુભવે. ‘વંદે માતરમ’ ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને દેશના લોકો સાથે તેની ભાવનાત્મક કડી પણ છે. તેથી તેના ગાન અને વિવિધ અંતરાને લઈને થતી ચર્ચા માત્ર સંગીત કે સાહિત્યનો મુદ્દો નથી, પરંતુ તે દેશભક્તિ, ધાર્મિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાના પ્રશ્નો સાથે પણ જોડાયેલું  છે.

વધુ જુઓ...