મુંબઈ: શિવાજીનગર વિસ્તારમાં અનૈતિક સંબંધનો વિરોધ કરનારી વ્યક્તિની હત્યા કરવા બદલ સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
સેશન્સ જજ યુ. કે. સોરટેએ ગુરુવારે આરોપી અફસર અબ્દુલ શેખ ઉર્ફે પંછીને સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં 2020માં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી અફસર શેખ પરિણીત હોવા છતાં તેના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ હતા, જેની જાણ થતાં ઝુલ્ફિકાર ચૌધરીએ તેનો વિરોધ કર્યો હતો, જેનો ગુસ્સો રાખીને આરોપીએ ઝુલ્ફિકારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન આરોપીએ ઝુલ્ફિકારને આંતર્યો હતો અને તેના પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઝુલ્ફિકારનું મૃત્યુ થતાં તેના પુત્ર નસરુદ્દીને ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરાઇ હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા હતા અને બાદમાં આ કેસમાં આરોપનાનું દાખલ કરાયું હતું. સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગુરુવારે કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.