ભાવનગરઃ બગદાણાના સેવક નવનીત બાલધીયા પર હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોળી સમાજને ફટાકડા ફોડી તથા સત્યના વિજયના નારા લગાવી ઉજવણી કરી હતી.
SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ગઈકાલે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને જયરાજ હાજર થયો હતો. SIT દ્વારા સતત બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જયરાજ આહીરની ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ અંગે રેન્જ આઇજી ગૌતમ પરમારે કહ્યું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈ ફરીથી SITની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે તેને જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સમાચારે માયાભાઈ આહીરના પુત્રના વિવાદ અંગે શનિવારે જ નવનીત બાલધીયા સાથે ટોક શો કર્યો હતો.