ગાંધીનગરઃ ઘણા ચાલકો તેમના વાહનોમાં સફેદ LED લાઈટ નખાવે છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધે છે. વાહનોમાં લગાવવામાં આવતી અનઅધિકૃત અને વધુ તીવ્રતાવાળી હેડલાઈટના કારણે અકસ્માતોની સંખ્યા વધતા અને નાગરિકોની વારંવારની રજૂઆતો બાદ ઉચ્ચ કક્ષાએથી કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ હવે નિયમ તોડનારા વાહનચાલકો અને ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેમ લેવાયો આ નિર્ણય?
મળતી વિગત પ્રમાણે, વાહનોમાં અનઅધિકૃત રીતે લગાવાયેલી સફેદ LED લાઈટની તીવ્રતા એટલી વધારે હોય છે કે સામેથી આવતા વાહનચાલકની આંખો અંજાઈ જાય છે. આ પરિસ્થિતિમાં વાહનચાલક રસ્તા પરનું સંતુલન ગુમાવે છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. અનેક કિસ્સાઓમાં આ જીવલેણ અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાની રજૂઆતો સરકારને મળી હતી.

ડીલરો પર પણ રહેશે બાજ નજર
નવા આદેશ મુજબ, માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ વાહન ડીલરો સામે પણ સકંજો કસવામાં આવશે. તમામ ડીલરોએ તેઓ ગ્રાહકને અનઅધિકૃત સફેદ LED લાઈટ ફીટ કરી ન આપે તેની ખાતરી કરવાની રહેશે. આરટીઓ (RTO) અને પોલીસ દ્વારા ડીલર કક્ષાએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ ડીલર નિયમ વિરુદ્ધ લાઈટો લગાવતા ઝડપાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.
કમિશનરની મંજૂરી બાદ હવે રાજ્યભરમાં પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા 'સઘન એન્ફોર્સમેન્ટ' કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રસ્તા પર ચેકિંગ દરમિયાન જે પણ વાહનોમાં આવી અનઅધિકૃત હાઈ-બીમ કે સફેદ LED હેડલેમ્પ જણાશે, તેમની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.