Tue Jan 27 2026

Logo

White Logo

મહારાષ્ટ્ર સદન કેસ: મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને કોર્ટે આપી મોટી રાહત

4 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મુંબઈની એક કોર્ટે આજે નવી દિલ્હીમાં 'મહારાષ્ટ્ર સદન'ના બાંધકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના પ્રધાન છગન ભુજબળને મુક્ત કર્યા છે. આ કેસ ૨૦૦૫-૨૦૦૬ના એક સોદા સાથે સંબંધિત છે, જે એનસીપી નેતા, રાજ્યના પીડબ્લ્યુડી પ્રધાન હતા, ત્યારે તેમણે કથિત રીતે બાંધકામ માટે એક કંપનીને આપ્યો હતો.

ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુજબ, ભુજબળ અને તેમના પરિવારના સભ્યોએ મહારાષ્ટ્ર સદનના બાંધકામ માટે બાંધકામ કંપની કે એસ ચમનકર પાસેથી લાંચ લીધી હતી. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે બાંધકામ કંપનીએ એવી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા જેમાં પ્રધાનના પુત્ર પંકજ અને ભત્રીજા સમીર ભુજબળ ડિરેક્ટર હતા.

આજે ખાસ પીએમએલએ ન્યાયાધીશ સત્યનારાયણ રામજીવન નવાંદરે આ કેસમાં વરિષ્ઠ એનસીપી નેતા અને અન્ય આરોપીઓની મુક્તિ અરજી સ્વીકારી હતી, એમ એક વકીલે જણાવ્યું હતું.

ઈડીનો કેસ એનસીપી નેતા અને તેમના સંબંધીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. એવો આરોપ છે કે મહારાષ્ટ્ર સદનનો મૂળ ખર્ચ અંદાજ ૧૩.૫ કરોડ રૂપિયા હતો, પરંતુ પાછળથી વધારીને ૫૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો. 

ઇડી મુજબ, ભુજબળને કંપની પાસેથી ૧૩.૫ કરોડ રૂપિયાની લાંચ મળી હતી, અને તેમને મહારાષ્ટ્ર સદનના બાંધકામ અને અન્ય પીડબ્લ્યુડીના કામોમાંથી લગભગ ૧૯૦ કરોડ રૂપિયાનો નફો થયો હતો.

છગન ભુજબળ, તેમના પુત્ર પંકજ, ભત્રીજા સમીર અને પાંચ અન્ય લોકોને ૨૦૨૧ માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ખાસ કેસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
(પીટીઆઈ)