દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બીડમાં હવામાં કર્યો ગોળીબાર: બે પિસ્તોલ સાથે યુવકની ધરપકડ
બીડ: બીડ જિલ્લાના અંબાજોગાઇ તાલુકામાં સૈગાંવ ખાતે ગેરકાયદે પિસ્તોલમાંથી યુવકે હવામાં ગોળીબાર કર્યો હતો, જેને કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ગોળીબારમાં કોઇને ઇજા થઇ નહોતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી હતી.
યુવકની ઓળખ સૈયદ અહમદઅલી મુબસ્સીરઅલી હાશમી તરીકે થઇ હોઇ તેણે મંગળવારે મધરાતે બે વાગ્યાની આસપાસ હવામાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારને કારણે ગભરાયેલા રહેવાસીઓએ પોલીસને તેની જાણ કરી હતી.
બરદાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હાશમી પાસેથી વિદેશી બનાવટની બે પિસ્તોલ અને ત્રણ જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરાઇ હતી.
હાશમીએ પિસ્તોલ અને કારતૂસો ક્યાંથી મેળવી હતી અને ગોળીબાર કરવા પાછળનો તેનો હેતુ શું હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
ભારતમાં રમવા બાબતમાં બાંગ્લાદેશ નિર્ણય બદલશે? કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું
આવતા મહિને ભારતમાં ટી-20 વર્લ્ડ કપની મૅચો રમવા પોતાના ખેલાડીઓને ન મોકલવાની હઠ પકડીને બેઠેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની વિનંતી ફગાવીને આઇસીસીએ બુધવારે એની સાન ઠેકાણે લાવી દીધી ત્યાર બાદ હવે ખેલાડીઓ ઢાકામાં બાંગ્લાદેશ સરકાર સાથે નિર્ણાયક બેઠકમાં ભાગ લેવા ઇન્ટરકૉન્ટિનેન્ટલ હૉટલમાં ગયા છે. તેઓ ખેલકૂદ સલાહકાર આસિફ નઝરુલ સાથે ચર્ચા કરશે. વિવાદાસ્પદ બોર્ડ-પ્રમુખ અમિનુલ ઇસ્લામ પણ આવી ગયા છે. ખેલાડીઓ વતી કૅપ્ટન નઝમુલ શૅન્ટો, નુરુલ હસન તથા અન્યો હાજર છે. કહેવાય છે કે ખેલાડીઓ ભારતમાં વર્લ્ડ કપ રમવા માગે છે, પણ બાંગ્લાદેશના કેટલાક નેતાઓ રાજકારણ રમી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખાઈમાં ખાબક્યું, 4 જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભદ્રવાહ-ચંબા રોડ પર સેનાનું એક 'કેસ્પર' (માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ) ઊંડી ખાઈમાં ખાબકતા 4 જવાનો શહીદ થયા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક જવાનો ઘાયલ પણ થયા હોવાની માહિતી સામે આવી રહી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.