લૉર્ડ્સની વન-ડેની એક ટિકિટનો ભાવ 65,000 રૂપિયાથી 1.30 લાખ રૂપિયા સુધી ઊંચો
અમિત શાહ
કાર્ડિફઃ ભારતીય ક્રિકેટના બે સિતારા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભારતમાં જે ક્રિકેટપ્રેમીઓ રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મૅચો ઉપરાંત દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દરમ્યાન નજીકના સ્ટેડિયમમાં જઈને તેમને પ્રત્યક્ષ રમતા જોઈ શકે છે, પણ ઇંગ્લૅન્ડમાં આ બન્ને પીઢ ખેલાડીઓના જે ચાહકો રહે છે તેમને આ વખતે છેલ્લી વખત રો-કો (રોહિત-કોહલી)ને નજરે રમતા જોવાનો મોકો છે એટલે વર્તમાન વન-ડે સિરીઝની મૅચોની ટિકિટ લેવા પડાપડી થઈ રહી છે.
વિરાટ-રોહિત છેલ્લી વખત ઇંગ્લૅન્ડમાં રમી રહ્યા છે. મંગળવારે વન-ડે શ્રેણીમાં બર્મિંગમની પ્રથમ મૅચમાં તો વિરાટ-રોહિત સારું નહોતા રમી શક્યા, પણ ગુરુવાર, 16મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યાથી) રમાનારી કાર્ડિફમાં રમાનારી બીજી મૅચમાં સારું પર્ફોર્મ કરશે એવી આશા છે. ખરેખર તો મંગળવારની અને ગુરુવારની ટિકિટો લોકો કોઈ પણ ભોગે ખરીદવા ખૂબ ઉત્સુક જોવા મળ્યા અને એમાં પણ, રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) લૉર્ડસમાં રમાનારી છેલ્લી વન-ડેની ટિકિટની એટલી બધી ડિમાન્ડ છે કે વાત ન પૂછો.
ભારત મંગળવારે જીતીને 1-0થી સરસાઈમાં છે. ગુરુવારની મૅચનું જે પણ પરિણામ આવે, પણ લોકો લૉર્ડ્સમાં વિરાટ-રોહિતને રમતા જોવા કોઈ તક નથી છોડવા માગતા. એ મૅચની ટિકિટનો ભાવ 500 પાઉન્ડ (અંદાજે 65,000 રૂપિયા)થી 1,000 પાઉન્ડ (1,30,000 રૂપિયા) સુધીનો છે અને એ ખરીદવા માગતા ક્રિકેટપ્રેમીઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી.
હેડ-કોચ ગૌતમ ગંભીરે બન્ને મહારથી (વિરાટ-રોહિત)ને તેમની નૅચરલ ગેમ રમવાની છૂટ આપી દીધી છે એ જોતાં જો તેઓ અસ્સલ ફૉર્મમાં આવી જશે તો બ્રિટિશરોનું આવી જ બન્યું સમજો. હા, બેમાંથી કોઈ સ્ટાર ફરી ફ્લૉપ જશે તો પણ ટીમમાં તેમની હાજરી જ શુભમન ગિલ ઍન્ડ કંપનીને મૉટિવેટ કરવા માટે પૂરતી છે એમ કહી શકાય. વિરાટ-રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં રમે છે. એ સિવાય તેમણે ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે.