અબુધાબી: યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન તાજેતરમાં ભારતની માત્ર ત્રણ કલાકની મુલાકાતે આવ્યા હતાં. રાષ્ટ્રપતિ આ મુલાકાત બાદ UAEએ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. UAEએ ઇસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેટ કરવાની તેની યોજના રદ કરી દીધી છે.
ઓગસ્ટ 2025 થી ઇસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન માટેના કરાર પર UAE સાથે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાતની તુરંત બાદ આ યોજના રદ કરવામાં આવી હતી. પાકિસ્તાનના એક પ્રમુખ અખબારે આની પુષ્ટિ કરી છે.
અહેવાલ મુજબ યુએઈએ પ્રોજેક્ટ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન ઓપરેશન્સ આઉટસોર્સ કરવા માટે સ્થાનિક ભાગીદારનું નામ નક્કી કરી શક્યું ન હતું, જેણે કારણે આ યોજનાને મુલતવી રાખવામાં આવી છે.
જો કે મીડિયા અહેવાલમાં આ યોજના રદ થવા પાછળ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત જવાબદાર હોવાની જાણકારી આપી નથી. રાજકીય ઈરાદો હોવાની માહિતી આપી નથી, પરંતુ યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે મતભેદો વધી રહ્યા છે, ત્યારે આ આ મહત્વની ઘટના છે.
પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે ડિફેન્સ ડીલ કરી. પાકિસ્તાન સાઉદી અરેબિયા અને તુર્કી સાથે મળીને NATO જેવા સંગઠનની રચના કરવા ઈચ્છે છે. યમન ગૃહ યુદ્ધ મામલે સાઉદી અરેબિયા અને UAE વચ્ચે અગાઉથી જ સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં UAEએ ભારત સાથે ડિફેન્સ ડીલ કરી છે.
આમ એક સમયે ગાઢ મિત્ર દેશો પાકિસ્તાન અને UAE વચ્ચે તિરાડ ઉભી થઇ છે, બીજી તરફ ભારત અને UAE વચ્ચે સંબંધો વધુ ગાઢ થઇ રહ્યા છે.