ગાંધીનગર : ગુજરાત સરકારે રૂપિયા 12 હજાર કરોડથી વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. જેમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ 20 જાન્યુઆરી સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743 લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12,965.37 કરોડ છે, જેમાંથી 6,33,149 લાભાર્થીઓને રૂ. 9,907.86 કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે.
આ વર્ષે 9. 31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2025-26 માં તા. 1 થી 22 સપ્ટેમ્બર 2025 સુધીમાં કુલ 10,11,936 ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે 3.74 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. તેની સામે આ વર્ષે 9. 31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે 20. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા.9 નવેમ્બર 2025થી શરૂ થઈ છે અને તા. 6 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂપિયા 15 હજાર કરોડ રૂપિયા થશે.
મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી થઈ શકે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેર પાક માટે તા.22 ડિસેમ્બર 2025થી નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. 20 જાન્યુઆરી, 2026 સુધી e-Samruddhi પોર્ટલ પર1,30,640 ખેડૂતોની નોંધણી થઈ છે. આ પ્રથમ વખત NAFEDના e-Samruddhi પોર્ટલ પર આધાર આધારિત POS Thumb Impression/Face Recognition વડે વિનામૂલ્યે નોંધણી થઈ રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી થઈ શકે છે.