Mon Jul 27 2026

Logo

કોકરોચ જનતા પાર્ટીની ચેતવણી, પોલીસ કાર્યવાહી બંધ કરો નહિ તો આંદોલન

2026-07-27 20:32:22
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી  છે. પાર્ટીએ કહ્યું છે કે એફઆઈઆર પરત ખેંચવાની બાંહેધરી આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જો આ કાર્યવાહી અને નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં નહિ આવે તો દેશમાં ફરી એકવાર આંદોલન શરૂ કરાશે. 

વિદ્યાર્થીઓને કાનૂની સહાય માટે સાક્ષી પ્લેટફોર્મ શરૂ 

કોકરોચ જનતા પાર્ટી એ આરોપ લગાવ્યો છે કે આંદોલન પાછું ખેંચ્યા પછી દેશભરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કપિલ સિબ્બલે વિરોધીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે  રૂપિયા 1 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.  જ્યારે સીજેપીએ વિદ્યાર્થીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે 'સાક્ષી' પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી.

ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે થયેલા કરારનું ઉલ્લંઘન

આ ઉપરાંત સીજેપીએ આરોપ લગાવ્યો છે કે સરકાર 25 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે થયેલા કરારનું ઉલ્લંઘન કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીએ દિલ્હીના જંતર-મંતર ખાતે 36 દિવસના વિરોધ પ્રદર્શનને પાછું ખેંચવાની જાહેરાત કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે. 

વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને નિશાન બનાવાયા 

સીજેપીનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાના બદલામાં સરકારે ખાતરી આપી હતી કે પ્રદર્શનકારીઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, તેનાથી વિપરીત, હવે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.