મુંબઈઃ પોતાની સગીર પુત્રી પર બળાત્કાર કરવાના આરોપસર એક વ્યક્તિને દોષિત ઠેરવવાના નિર્ણયને યથાવત રાખતા બોમ્બે હાઈ કોર્ટે કહ્યું કે, "પુત્રી ભલે પિતાના ખોળામાં મોટી થઈ હોય, પરંતુ તેમના હૃદયમાં ક્યારેય મોટી થતી નથી (એટલે કે પિતાના હૃદયમાં તેનું સ્થાન હંમેશા અકબંધ રહે છે.
હાઈ કોર્ટે કહ્યું કે, પિતા દ્વારા પોતાની જ પુત્રીનું જાતીય શોષણ કરવામાં આવે તેનાથી વધુ આઘાતજનક અને ઘૃણાસ્પદ ગુનો બીજો કોઈ હોઈ શકે નહીં. જસ્ટિસ ઉર્મિલા જોશી ફાલકે અને જસ્ટિસ નિવેદિતા મહેતાની હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ૧૫ જુલાઈના પોતાના ચુકાદામાં ૪૩ વર્ષીય વ્યક્તિની અપીલ ફગાવી દીધી છે.
તેણે પોતાની ૧૨ વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ થયેલી સજાને પડકારી હતી. તે વ્યક્તિએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તે પોતાની દીકરીને ઠપકો આપતો હોવાથી તેને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો હતો.
જોકે, હાઈ કોર્ટે આ વાતનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે તેમાં તેના પોતાના પિતા જ સામેલ હોવાથી પીડિતા માનસિક આઘાતમાં હતી અને ઘટના વિશે કોઈને પણ જણાવી શકી નહોતી.
તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે બળાત્કાર એ માત્ર શારીરિક હુમલો જ નથી, પરંતુ તે પીડિતના સમગ્ર વ્યક્તિત્વને પણ વિનાશક અસર પહોંચાડે અને તેના ભવિષ્યને જોખમમાં મૂકે છે. પીડિતાએ બાળકને જન્મ આપ્યો હતો અને ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું કે આરોપી અને પીડિતા જૈવિક માતાપિતા છે.