Fri Jul 17 2026

Logo

અમદાવાદમાં નાથની નગરચર્યાના દર્શને હૈયે હૈયું દળાયું! ભક્તિના ભાવથી લઈને કોમી એકતાની સોડમ

2026-07-16 22:21:06
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથ પૂરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા બાદની દેશની બીજા નંબરની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ધામધૂમ, ભક્તિમય માહોલ અને રંગેચંગે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ નગરચર્યા કરી હતી અને આ દરમિયાન ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન ઉમટ્યાં હતા.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રાના પાવન અવસરે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી  થયા હતા અને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. 

ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત પહિંદ વિધિ કરી 
અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન-અર્ચન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ તેઓ ભગવાનના મુખ્ય રથને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. 

ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું 
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રથયાત્રાનો જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રારંભ થયો હતો, જ્યાં રથને ભવ્ય શણગાર સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તાઓ પર ઉભરાતી ભીડમાં ભક્તોની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ નજરે દેખાયો હતો. 

સ્વચ્છ અમદાવાદનો સંદેશ 
રથયાત્રામાં અનેક ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં સામાજિક જાગૃતિ, અમેરિકા યુદ્ધ, સ્વચ્છતા સહિતની બાબતોના સંદેશ આપતા અને શણગારેલા ટ્રકનું લોકોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. રથયાત્રામાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે ટેબલો અને ચાર રંગની કચરાપેટીના મેસ્કોટ રાખવામાં આવ્યા હતા.

જુલાઇ મહિનાની ગરમીને કારણે શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે પણ તંત્ર દ્વારા વિશેષ સુવિધા કરી હતી. અમદાવાદ મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા થોડા થોડા અંતરે પાણીનો છંટકાવ કરીને રસ્તાઓને ઠંડા રાખવાની કામગીરી કરવામાં આવી હતી. પાણીના ઝીણા ફુવારા છોડીને વાતાવરણમાં ઠંડક પ્રસરાવતી હતી

મુખ્ય પ્રધાને રથયાત્રાનું રિયલ ટાઇમ મોનિટરિંગ કર્યું 
રથયાત્રાની સુરક્ષા માટે સરકારે પણ દિવસ રાત એક કરી દીધા હતા. ત્યારે રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય પ્રધાને ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડની વીડિયો વોલ પરથી રથયાત્રાના રુટનું રિયલ ટાઇમ મોનિટરિંગ કર્યું હતું. જેમાં તેમણે રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને 26  રેન્જ, 53 એરિયા અને 1397  પોઈન્ટ્સમાં વહેંચીને 10 આઇજી/ડીઆઇજી, 42 ડીસીપી, 88  એસીપી અધિકારીઓ સહિત 30,000 થી વધુ પોલીસ જવાનો, 15  એસઆરપીએફ અને 9  સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.

કોમી એકતાના દર્શન 
સમગ્ર રથયાત્રાનું આયોજન કોમી એખલાસનું પ્રતિક બની રહે તે માટે સામાજિક આગેવાનોએ પહેલ કરી હતી. સમગ્ર રૂટના અતિ સંવેદનશીલ ગણાતા  દરિયાપુર વિસ્તારમાં ભગવાનના દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરિયાપુરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ભગવાનના રથનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજને હાર અને શાલ ઓઢાડીને આવકાર્યા હતા.  તે ઉપરાંત કોમી એકતા અને શાંતિનો સંદેશ આપવા માટે મહંત દિલીપદાસજી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કબૂતર ઉડાડવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન અઝાન કરવામાં આવી રહી તે દરમિયાન રથયાત્રાના સ્પીકર બંધ કરીને પણ સામાજિક એકતા જાળવી રાખવાની પહેલ કરી હતી.  

ગૃહ પ્રધાન અને પોલીસ વડાએ દર્શન કર્યા 
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ રથયાત્રાનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. તેઓ પ્રેમ દરવાજા ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી ચાલીને દરિયાપુર સુધી પહોંચ્યા હતા. પોલીસ વિભાગ પણ રથયાત્રા ઉલ્લાસપૂર્વક યોજાઇ તે માટે સતત કાર્યરત હતો અને રાજ્ય પોલીસ વડા અને પોલીસ કમિશનરે દરિયાપુર તંબુ ચોકી ખાતે ઉપસ્થિત રહીને રથયાત્રા નિહાળી હતી. રથયાત્રા જ્યારે દરિયાપૂર પહોંચી હતી તે સમયે અમીછાંટણા થયા હતા. 

સરસપુરમાં ભગવાનનું મામેરું ભરાયું 
રથયાત્રાનો જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રારંભ થયો હતો, જ્યાં રથને ભવ્ય શણગાર સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તાઓ પર ઉભરાતી ભીડમાં ભક્તોની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ નજરે દેખાયો હતો. મંદિરથી રવાના થયા બાદ ત્રણેય રથ સરસપુર મોસાળમાં પહોંચ્યા હતા, જ્યાં પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રનું શ્રદ્ધાપૂર્વક ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું અને ભગવાનના મામેરાના દિવ્ય  પ્રસંગને નિહાળવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.. ત્યારબાદ ત્યાંથી ભગવાનના રથ શાહપુર, દિલ્હી દરવાજા, ઘીકાંટા તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પણ હજારો શ્રધ્ધાળુઓએ પ્રભુના દર્શનનો લાભ લીધો હતો.

પ્રેમ દરવાજા નજીક મારામારીની ઘટના
મળતી વિગતો અનુસાર, રથયાત્રા દરમિયાન અંદાજે 40થી પણ વધારે ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પ્રાથમિક સારવાર, બેભાન થવાના, પેટમાં દુખાવા, માર્ગ અકસ્માત, શ્વાસ લેવામાં તકલીફ, ડિહાઈડ્રેશન સહિતના 41 જેટલા કેસ નોંધાયા હતા. આ દરમિયાન પ્રેમ દરવાજા નજીક  સામાન્ય તકરારની ઘટના ઘટી હતી. જેમાં મહિલાઓએ એક યુવકને પકડીને માર માર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ઘીકાંટામાં પણ રથ ખેંચવા બાબતે ખેંચતાણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.