નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું છે. જેમાં અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટના હુમલામાં સૌથી વધુ જાનહાનિ ભારતીય નાવિકોની થઇ છે. જેમાં પગલે હવે ભારત સરકારે તેમની સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે. જેમાં ભારતીય શિપિંગ મહાનિર્દેશાલયે એ જહાજ માલિકો, જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને ભરતી એજન્સીઓને આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
શિપિંગ મહાનિર્દેશાલયે એડવાઇઝરી જાહેર કરી
શિપિંગ મહાનિર્દેશાલયે એક એડવાઇઝરીમાં પર્સિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટ અને નજીકના પાણીમાં કાર્યરત તમામ જહાજોના માસ્ટર્સને સલામતી અંગે અત્યંત સાવધાની રાખવા સૂચના આપી છે.
તમામ સુરક્ષા પગલાં અમલમાં મૂકવા નિર્દેશ
શિપિંગ મહાનિર્દેશાલયે નેવિગેશન ચેતવણીઓ, સલામતી સલાહ અને સંબંધિત અધિકારીઓ દ્વારા જારી કરાયેલ નવીનતમ અપડેટ્સનું સતત નિરીક્ષણ કરવું જરૂરી છે, તેમજ આંતરરાષ્ટ્રીય જહાજ અને બંદર સુવિધા સુરક્ષા (ISPS) કોડ દ્વારા ફરજિયાત તમામ સુરક્ષા પગલાં અમલમાં મૂકવા જરૂરી છે.
તાજેતરમાં બે જહાજો પર હુમલા બાદ એડવાઈઝરી જાહેર
તાજેતરમાં બે જહાજો, એમટી અલ બાહિયા અને એમટી મોમ્બાસા પર થયેલા હુમલાઓ બાદ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ બંને જહાજોમાં કુલ 46 ક્રૂ સભ્યો હતા. જેમાં 30 ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં એમટી અલ બાહિયા પર તૈનાત એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક ઘાયલ થયો હતો.આ દરમિયાન, એમટી મોમ્બાસામાં સવાર નવ ભારતીય નાગરિકોને ઇજાઓ થઈ હતી.