પુરી : ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે ભાગદોડ મચી હતી. તેમજ તેમાં એક શ્રદ્ધાળુનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. જ્યાર અનેક લોકો ઘાયલ થયાની આશંકા છે.
ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો
આ અંગે મળતી માહિતી મુજબ રથયાત્રા દરમિયાન રથની દોરી ખેંચતી વખતે કેટલાક લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક શ્રદ્ધાળુ ગૂંગળામણને કારણે બેભાન થયો હતો. તેને તાત્કાલિક પુરી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેમજ હાલમાં ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.
સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ તાત્કાલિક સક્રિય
પુરી રથયાત્રા દરમિયાન ભારે ભીડને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે ગ્રાન્ડ રોડ પર અનેક સ્થળોએ અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી અને શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ તાત્કાલિક સક્રિય થયું હતું.

શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી
તેમજ ભીડવાળા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. શ્રદ્ધાળુઓને કામચલાઉ તબીબી શિબિરોમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે વધુ સારવારની જરૂર હોય તેવા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.