(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચાલી રહેલા નાળાં સફાઈથી ભાજપ નારાજ હોવાનું કહેવાય છે. એટલે જ ભાજપ નાળાસફાઈનું કામ જૂના કૉન્ટ્રેક્ટરને આપવાના પ્રયાસ કરનારા પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના દોષી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. તેથી જો ચોમાસા દરમ્યાન મુંબઈ જળબંબાકાર થાય છે તો કેટલાક અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા થોડા દિવસથી મુંબઈના મેયર, ભાજપના મુંબઈ પ્રમુખ , પાલિકાના સભાગૃહ નેતા, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત ભાજપના નગરસેવકો મુંબઈમાં ચાલી રહેલી નાળા સફાઈ કાર્યનું સતત ઈન્સ્પકેશન કરી રહ્યા છે. મંગળવારે પાલિકાના સભાગૃહ નેતા ગણેશ ખણકરે કહ્યું હતું કે શાસક પક્ષ તરીકે અમારા પ્રયાસ રહ્યા છે કે નાળાં સફાઈનું કામ છેલ્લાં કેટલાંક વર્ષોની તુલનામાં યોગ્ય રીતે થાય. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે કેટલાક નાળાઓના કિનારે બનેલી ઝૂંપડપટ્ટીઓમાંથી પ્લાસ્ટિકની થેલીનો કચરો નાળામાં નાખવામાં આવી રહ્યો છે. અધિકારીઓ પાસે આનો યોગ્ય જવાબ નહોતો.
નાળાં સફાઈ યોગ્ય રીતે થાય તે માટે, જૂના કોન્ટ્રાક્ટરોને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ઝોન પાંચમાં આવતા ગોવંડી, ચેમ્બુર, માનખુર્દમાં પાલિકા અધિકારીઓએ જૂના કોન્ટ્રાક્ટરોને કામ મળે તે માટે નવા કોન્ટ્રાક્ટરોને આવવા દીધા નહોતા. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધા પછી તેમના પ્રસ્તાવમાં અનેક ભૂલો કાઢીને ઝોન પાંચમાં જૂના કોન્ટ્રાક્ટરોને જ નાળાં સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. તેથી જૂના કોન્ટ્રાક્ટરની તરફેણમાં કરનારા અધિકારીઓની તપાસ કરવામાં આવશે એવું ગણેશ ખણકરે જણાવ્યું હતું. નાળાં સફાઈના કામમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓને બક્ષવામાં આવશે નહીં એવો દાવો પણ સત્તાધારી ભાજપે કર્યો છે.
આ દરમ્યાન પાલિકાના આંકડા મુજબ મુંબઈમાં બીજી મે, ૨૦૨૬ સુધીમાં ૯૭ ટકા નાળાં સફાઈ થઈ ગઈ છે, જેમાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં અત્યાર સુધીમાં ૯૭ ટકા નાળાં સફાઈ થઈ ગઈ છે. આમાં મોટાં અને નાનાં નાળામાંંથી ૧૦૦ ટકા કાંપ દૂર કરવામાં આવ્યો છે અને મીઠી નદીમાંથી ૬૯ ટકા કાંપ દૂર કરવામાં આવ્યો હોવાનું પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના જણાવ્યું હતું.
AI Generated Images