દહેરાદૂન: ઉત્તરાખંડમાં 19 એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જોકે, આ બધા વચ્ચે શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકવામાં આવતો કચરો વહીવટીતંત્રની ચિંતાનો વિષય બન્યો છે. જેમાં 31 મે સુધીના આંકડા મુજબ ચારધામમાંથી 288 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે.
તીર્થસ્થાનો આશરે 3,000 મીટરની ઊંચાઈએ સ્થિત
જેમાં ઉત્તરાખંડના ચાર તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ પ્રદેશો છે. આ બધા તીર્થસ્થાનો આશરે 3,000 મીટરની ઊંચાઈએ સ્થિત છે અને મુખ્ય હિમાલયના હિમનદીઓથી ઘેરાયેલા છે, જેમ કે યમુનોત્રી ખાતે ચંપાસર ગ્લેશિયર, ગંગોત્રી ખાતે ગંગોત્રી ગ્લેશિયર, કેદારનાથ ખાતે ચોરાબારી અને કમ્પેનિયન ગ્લેશિયર્સ, અને બદ્રીનાથ ક્ષેત્રમાં સતોપંથ અને અલકાપુરી ગ્લેશિયર્સ છે.
કુલ 288 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો
ચારધામ યાત્રાના આશરે 51 દિવસ દરમિયાન, કુલ 288 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં કેદારનાથમાંથી લગભગ 122 ટન, ગંગોત્રીમાંથી 70 ટન, યમુનોત્રીમાંથી 80 ટન અને બદ્રીનાથમાંથી આશરે 10 ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ કચરો ઉંચાઈવાળા પ્રદેશોમાંથી નીચાણવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યો છે.