નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપે જીત મેળવ્યા બાદ હવે બંગાળના રાજકારણ પર મજબૂત પકડ બનાવી છે. આ અંતર્ગત ટીએમસીમાંથી રાજીનામું આપીને આજે જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના ત્રણ સાંસદ સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરૈકને ભાજપે ગણતરીની મિનિટમાં રાજયસભા પેટા- ચૂંટણી માટે ટિકિટ ફાળવી છે.
ખાલી પડેલી ત્રણ બેઠકો માટે આ પેટાચૂંટણી
જેમાં મહત્વનું છે કે, ટીએમસીના નેતાઓના રાજીનામા બાદ ખાલી પડેલી ત્રણ બેઠકો માટે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેની માટે ભાજપે ફરી તેમને જ ટિકિટ આપી છે. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ યોજાવાની છે.
49 વર્ષોમાં અસંખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા
રાજ્યસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળ્યા બાદ પ્રકાશ ચિક બરૈકે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા 49 વર્ષોમાં અસંખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા છે. 34 વર્ષ ડાબેરી શાસન અને 15 વર્ષ તૃણમૂલ શાસન રહ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે સંકલનનો અભાવ હતો. તેમજ 100 દિવસની રોજગાર યોજના' માટેના ભંડોળ પાંચ વર્ષ સુધી રોકી રાખવામાં આવ્યા હતા. જેના કારણે ગરીબો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર પ્રતિકૂળ અસર પડી છે.
મમત બેનર્જીએ બંધ, હડતાલ અને સરઘસો દ્વારા કેન્દ્રનો વિરોધ કર્યો
આ ઉપરાંત ભાજપમાં જોડાયા બાદ ભૂતપૂર્વ ટીએમસી રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે જણાવ્યું હતું કે, ભારતમાં ભાગ્યે જ કોઈ રાજ્યમાં 96-97 ટકા મતદાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં શાસક અને વિપક્ષી પક્ષો વિકાસ, પ્રગતિ અથવા ચોક્કસ એજન્ડાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર સહયોગ માંગે છે. પરંતુ અહીં, ફક્ત બંધ, હડતાલ અને સરઘસો દ્વારા કેન્દ્રનો વિરોધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.