અમદાવાદ: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં કુતરાના કરડવાના બનાવોએ ભારે ચર્ચા જગાવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે પણ આકરું વલણ અપનાવ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓને આ દિશામાં યોગ્ય પગલાં ભરવા આદેશ કર્યો છે. ત્યારે હવે જો તમે અમદાવાદમાં પાલતુ કુતરાની સાથે જો બિલાડી પણ પાળો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના પાલતુ શ્વાન અને બિલાડીના માલિકો માટે એક મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના નિર્દેશો, એનિમલ વેલ્ફેર બોર્ડની ગાઈડલાઈન અને 'રેબીઝ ફ્રી અમદાવાદ સિટી' અભિયાન અંતર્ગત, શહેરમાં રખાતા તમામ પાલતુ શ્વાન અને બિલાડીઓનું રજીસ્ટ્રેશન આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે શ્વાન દીઠ રૂ. 1000 અને બિલાડી દીઠ રૂ. 200 ની રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે.

પેટ પેરેન્ટ્સે આ નોંધણી AMC ની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે અરજદારે પોતાનું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, ટેક્ષ બિલ, લાઈટ બિલ તેમજ અરજદાર, પાલતુ પ્રાણી અને તેને રાખવાના સ્થળના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે સબમિટ કરવાના રહેશે.