Wed Aug 19 2026

Logo

મોદી કેબિનેટની મોટી ભેટ: 4 રાજ્યમાં 410 KM નવી રેલવે લાઈન અને બિહારને મળશે 'ફોરલેન હાઈવે'

2026-08-19 17:19:53
Author: Mumbai Samachar Team
Article Image

સીસીઈએ (CCEA) દ્વારા ₹9,450 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ અને બિહાર માટે ₹3,591 કરોડના હાઈવે કોરિડોરને મંજૂરી

નવી દિલ્હી/પટણાઃ કેન્દ્રીય પ્રધાન મંડળની આર્થિક બાબતોની સમિતિ (સીસીઈએ)એ રેલવેની ચાર મલ્ટિ ટ્રેકિંગ યોજનાઓને મંજૂરી આપી છે. લગભગ 9,450 કરોડ રુપિયાના ખર્ચવાળી યોજનામાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં લગભગ 410 કિલોમીટર રેલવે નેટવર્કની ક્ષમતામાં વધારો થશે. જેનું કામકાજ વર્ષ 2030-31 સુધી પૂરું થવાનો લક્ષ્યાંક છે. આ યોજનામાં લગભગ 6,448 ગામના લગભગ 60 લાખ લોકોને ફાયદો થવાની અપેક્ષા છે.

આજે મોદી કેબિનેટે મુઝફ્ફરપુર-સીતામઢી-સોનવર્ષા સુધીના ફોનલેન હાઈવેને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ નવો રોડ તૈયાર થતા બિહારની અર્થવ્યવસ્થા અને ક્નેક્ટિવિટી વધુ એક મોટા સ્કેલ પર સશક્તિ થઈ જશે. આ માટે ₹ 3,591 કરોડનો ખર્ચ થશે. બુધવારે યોજાયેલી યુનિયન કેબિનેટની બેઠકમાં બિહાર રાજ્યને લઈને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ખાસ કરીને ક્નેક્ટિવિટીને પ્રાધાન્ય આપીને સમગ્ર કોરિડોર તૈયાર કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. મોદી કેબિનેટે ફોરલેન હાઈવે માટે મંજૂરી આપી દીધી છે. જ્યારે રેલ યોજના અંતર્ગત પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્ય માટે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર યોજનાને સમજાવી છે. 

રેલવે પ્રધાને કરી મોટી જાહેરાત
રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશના રેલ નેટવર્કમાં સાત મુખ્ય ટ્રંક રૂટ છે જેમાં મુંબઈ-દિલ્હી, દિલ્હી-ચેન્નઈ તથા મુંબઈ-હાવડા, દિલ્હી-હાવડા, હાવડા-ચેન્નઈ અને ચેન્નઈ-મુંબઈ લાઈનનો સમાવેશ થાય છે. આ સિવાય મુંબઈથી છેક ગુવાહાટી જતી રેલ લાઈનનો પણ સમાવેશ થાય છે. આ તમામ રૂટમાં હાવડા-ચેન્નઈ રૂટ ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. જેને સંપૂર્ણ રીતે ફોરલેન ટ્રેક કરવાની યોજના સામેલ છે. 

આ ફેરફારથી આ રૂટ પરથી પસાર થતી મોટા ભાગની ટ્રેનની સંખ્યા છે એના કરતા વધારી દેવાશે. એક જ રૂટ પર વધારે ટ્રેનને દોડાવવી શક્ય બની રહેશે. માલ-સામાનની હેરફેર સરળ થઈ જશે. જે યોજનાને મંજૂરી મળી ચૂકી છે એમાંથી પ્રથમ ત્રણ યોજનામાં હાવડા-ચેન્નઈ રૂટ લાઈન મુખ્ય છે. આની પ્રાથમિકતા છે. જ્યારે પારાદીપ-કટક(ઓડિશા) પછીથી મંજૂર કરવામાં આવી છે. 

પુલનું પણ નિર્માણ કરાશે
ખડગપુરથી ભદ્રક સુધીની રેલવે લાઈન 173 કિમીની છે. આ રેલ સેક્શન પર ફોર લેન ટ્રેક તૈયાર કરવા માટે કોરિડોનું કામ ચાલું છે. આ રેલવે રૂટ બાલાસોરથી રૂપસા થઈને ભદ્રક સુધી પહોંચશે.આ રૂટ પર કોલસા અને અન્ય કેટલાક ઉત્પાદનની હેરફેર સરળ બની જશે.આ ઉપરાંત હાવડા-ચેન્નઈ વચ્ચે મેઈલ, એક્સપ્રેસ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન તથા પેસેન્જર ટ્રેન દોડાવવી પણ શક્ય બની રહેશે. 
આ યોજનાનો અનુમાનિત ખર્ચ 3352 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ફોરલેન રેલ ટ્રેક માટે 41 મોટા અને 169 નાના પુલનું નિર્માણ કરાશે. આનાથી રેલવેની ક્નેક્ટિવિટી પણ મજબૂત થશે અને સર્વિસ પણ સુધરશે. આ ઉપરાંત જે તે ઝોનમાં માલસામાન તથા ટ્રેનનું સંચાલન કરવું પણ સરળ બની રહરેશે. આ પહેલા સમગ્ર યોજનાની સમીક્ષા કરીને યોજનાને ગ્રાઉન્ડ પર ઊતારવામાં આવી હતી. 

આંધ્ર પ્રદેશના પ્રોજેક્ટમાં ફાયદો
આ પ્રોજેક્ટ ગુમ્મીડીપુંડી અને ગુદુર વચ્ચેના રેલ માર્ગ સાથે સંબંધિત છે, જે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ નજીક સ્થિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે, મુખ્ય રેલ માર્ગના આ 90 કિલોમીટર લાંબા ભાગમાં હાલમાં ડબલ ટ્રેક છે. વિસ્તરણ યોજના હેઠળ, ત્રીજી અને ચોથી લાઇનનું નિર્માણ કરીને તેને ક્વાડ્રપલ-ટ્રેક કોરિડોરમાં રૂપાંતરિત કરવામાં આવશે.આ અપગ્રેડ રૂટ પર રેલ ટ્રાફિકમાં નોંધપાત્ર સુધારો કરશે, જેનાથી વધુ પેસેન્જર અને નવી એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. અંદાજે ₹ 2,229 કરોડના અંદાજિત ખર્ચ સાથે, આ પ્રોજેક્ટ બાંધકામ તબક્કા દરમિયાન લગભગ 61 લાખ માનવ-દિવસ રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.