Tue Jan 27 2026

Logo

White Logo

માયાભાઈના દીકરાને જેલભેગો તો કરાયો પણ રીમાન્ડ કેમ ના મંગાયા ? SIT શંકાના દાયરામાં

1 day ago
Author: Mayur Patel
Video

ભાવનગર: બગદાણાના કોળી આગેવાન નવનીત બાલધિયાને કથિત માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસમાં જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રવિવારે જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલીસ કાફલા સાથે મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેણે મહુવા કોર્ટેમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે જયરાજની જામીન અરજી નામંજૂર કરી હતી. આથી માયાભાઈ આહીરનો પુત્ર જયરાજને જેલમાં મોકલાયો હતો. એસઆઈટી ટીમ જયરાજને લઈ ભાવનગર રવાના થઈ હતી. જયરાજ આહીરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલમાં મોકલાયો હતો. જયરાજ આહીરને જેલભેગો તો કરાયો પણ રીમાન્ડ ન માંગવામાં આવતાં SIT શંકાના દાયરામાં આવી છે.

જયરાજની ધરપકડ બાદ ભાવનગરના રેન્જ આઈ જી ગૌતમ પરમારે માહિતી આપી હતી કે,  તેમને હજુ પણ કેટલીક તપાસ બાકી છે. જેથી રીમાન્ડ માંગવામાં આવ્યા નહોતા. આ પછી લોકોમાં  જયરાજ વિરૂદ્ધ શું સીટને પુરતા પુરાવા મળી ગયા છે તેવી ચર્ચા શરૂ થઈ છે. જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેક રાખવામાં આવ્યો છે અને હજુ સુધી તેને બેરેક ફાળવવામાં આવી નથી.

બગદાણાના સેવક નવનીત બાલધીયા પર હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ બાદ કોળી સમાજને ફટાકડા ફોડી તથા સત્યના વિજયના નારા લગાવી ઉજવણી કરી હતી.  જયરાજ આહીરની ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો

બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.

જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ સમાચારે માયાભાઈ આહીરના પુત્રના વિવાદ અંગે શનિવારે જ નવનીત બાલધીયા સાથે ટોક શો કર્યો હતો.