કોચીઃ ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર શાંતાકુમારન શ્રીસાન્તને મોટી રાહત મળી છે, કારણકે કેરલમના ક્રિકેટ અસોસિયેશને તેના પરનો ત્રણ વર્ષનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે અને એ પાછળનું મોટું કારણ એ છે કે શ્રીસાન્તે કોઈ પણ શરત મૂક્યા વિના માફી માગી લીધી છે.
કેરલમ ક્રિકેટ અસોસિયેશન (KCA)ની વિશેષ સામાન્ય સભામાં એસ. શ્રીસાન્તની શરત વિનાની માફી સ્વીકારી લેવામાં આવી હતી. શ્રીસાન્તે ગયા વર્ષે કેસીએ વિરુદ્ધ કથિત માનહાનિકારક વિધાન કર્યું હતું જે બદલ ક્રિકેટને લગતી કોઈ પણ પ્રવૃત્તિમાં તેના ભાગ લેવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો.
શ્રીસાન્ત (SREESANTH)એ પોતાના નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે વિઝ્યુઅલ અને સોશ્યલ મીડિયા પર જે ટિપ્પણીઓ કરી હતી એ બદલ તેના પર બૅન મૂકવામાં આવ્યો હતો.
કેસીએનું કહેવું હતું કે શ્રીસાન્તની ટિપ્પણીઓથી અસોસિયેશનની બદનામી થઈ હતી. એટલું જ નહીં, શ્રીસાન્તે તિરુવનન્તપુરમની અદાલત (Court)માં કેસીએની પોતાની વિરુદ્ધની કાર્યવાહીને પડકારી પણ હતી. અદાલતે શ્રીસાન્તની અરજી ફગાવી દીધી એને પગલે તેણે થોડા સમય બાદ તેણે માફી માગી એટલે તે હવે પ્રતિબંધ હટાવાતાં કેરળ ક્રિકેટ લીગની ત્રીજી સીઝનમાં એક ફ્રૅન્ચાઇઝીનો સહ-માલિક બની રહેશે.