નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના 100થી વધુ અગ્રણી નાગરિકો અને નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ શહબાઝને પત્ર લખીને 'સતત ચાલી રહેલી દુશ્મનાવટ'નો અંત લાવવાની માંગ કરી છે. પીએમ મોદીને લખેલા પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, આરજેડી (RJD) સાંસદ મનોજ ઝા અને એજેયુપી (AJUP) નેતા હુમાયુ કબીર સામેલ છે. તેઓએ નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાઈ કમિશનરોની પુનઃસ્થાપના, સામાન્ય વિઝા સેવાઓ ફરીથી શરૂ કરવા અને એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) ફરીથી ખોલવાની માંગ કરી છે.
ઓપરેશન સિંદુરના એક વર્ષ બાદ સાથે મળીને લખ્યો પત્ર
ઓપરેશન સિંદુરના એક વર્ષ બાદ, ભારત અને પાકિસ્તાનના 100થી વધુ જાણીતા નાગરિકો અને નેતાઓએ પીએમ મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ શહબાઝ શરીફને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, સતત ચાલી રહેલી દુશ્મનાવટને કારણે બંને તરફના લાખો યુવાનો તકો, સમૃદ્ધિ અને સુરક્ષિત ભવિષ્યથી વંચિત રહી રહ્યા છે. તેમણે બંને દેશોના નાગરિકો માટે સામાન્ય વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની સાથે-સાથે પૂર્ણ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા અને નવી દિલ્હી-ઈસ્લામાબાદમાં હાઈ કમિશનરની નિમણૂક કરવાની પણ માંગ કરી છે.
'સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસ'ના પત્રમાં હસ્તાક્ષર
'સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસ' તરફથી જાહેર કરવામાં આવેલા એક ઓપન લેટર, જેના પર ભારત અને પાકિસ્તાનની અગ્રણી રાજકીય હસ્તીઓ સહિત 117 લોકોએ હસ્તાક્ષર કર્યા હતા, તેમાં કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. આ સૂચનોમાં તાત્કાલિક રાજદ્વારી પગલાં લેવાથી લઈને વાતચીત ફરી શરૂ કરવા, લોકો વચ્ચેનો પરસ્પર સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક અવરજવરને પ્રોત્સાહન આપવા જેવી બાબતો સામેલ હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ સમાપ્ત કરવાની અપીલ
ભારત તરફથી આ પત્ર પર હસ્તાક્ષર કરનારા 61 લોકોની યાદીમાં નેશનલ કોન્ફરન્સના વડા ડૉ. ફારુક અબ્દુલ્લા, અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારુક, પીડીપી (PDP) વડા મહેબૂબા મુફ્તી, આરજેડી (RJD) સાંસદ મનોજ ઝા, ટીએમસી (TMC)ના પૂર્વ મંત્રી અને વર્તમાન એજેયુપી (AJUP) નેતા હુમાયુ કબીર સામેલ હતા. તેમણે અપીલ કરી છે કે બંને દેશો વચ્ચે શાંતિ, વાતચીત અને સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવાની દિશામાં સાર્થક અને સતત પગલાં લેવામાં આવે.
ભારત અને પાકિસ્તાનના કેટલાક નાગરિકો દ્વારા પત્ર લખવા અંગે ભાજપ (BJP)ના પ્રવક્તા પ્રેમ શુક્લાએ જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય.' તેમણે આગળ ઉમેર્યું કે, 'આ લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ અવારનવાર જાગતો રહે છે. શાંતિના કબૂતર ઉડાડવાની આ લોકોની આદત છે.'