Wed Jul 01 2026

Logo

હવે ગુટખા, પાન મસાલા ખાધા તો..... CM ભૂપેન્દ્ર પટેલે શું આપી ચીમકી ?

2026-07-01 13:48:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે, જેને જુદા પાડી શકાય તેમ નથી.

CM ભૂપેન્દ્ર પટેલે શું આપી ચીમકી

કાર્યક્રમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર સ્થળોએ ગંદકી કરનારા લોકોને સીધી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, રસ્તા, હોસ્પિટલ કે અન્ય જાહેર જગ્યાઓ પર પાન-મસાલા ખાઈને પિચકારી મારતા લોકો હવે સુધરી જજો, નહીંતર તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવાશે. સિવિલ હોસ્પિટલ અને સરકારી જગ્યાઓને ગંદી કરનારા તત્વો પર વહીવટી તંત્ર હવે ખાસ નજર રાખશે અને તેમની સામે કાર્યવાહી કરશે.સ્વચ્છતા એ ફક્ત સરકારનું કામ નથી, પણ આપણા બધાનો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર હોવો જોઈએ. જાહેર જગ્યાઓ પર ગંદકી કરનારાઓ સામે હવે સરકાર કોઈ બાંધછોડ નહીં કરે.

બીજું શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આજથી શરૂ થયેલ 'નમો સ્વચ્છતા અભિયાન’ને માત્ર 7 દિવસ પૂરતુ મર્યાદિત રાખવાનું નથી, પરંતુ સ્વચ્છતાને આપણા બારે મહિનાના રોજિંદા સહજ સ્વભાવ અને આદતમાં વણી લેવાની છે. આપણી આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકે સ્વયં જાગૃત થવું પડશે.

આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા'.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને સ્વચ્છ પાણી, સ્વચ્છતા અભિયાન, ધુમાડામાંથી મુક્તિ અને યોગ જેવી વિવિધ પહેલ કરી છે. આજે ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. વિદેશથી પણ લોકો હોસ્પિટલોમાં સારવાર કે પ્રવાસ માટે ગુજરાત આવતા હોય, ત્યારે આપણી સ્વચ્છતા જોઈને પ્રભાવિત થાય તેવું સુંદર અને અનુસરણીય વાતાવરણ આપણે સૌ સાથે મળીને ઊભું કરીએ. 

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સ્વચ્છતા રાખવી જોઈએ એ વાત તો બધા જાણે જ છે. પણ જરૂરી એ છે કે, આપણે બધા પોતાના માથે જવાબદારી લઈને સ્વચ્છતા રાખીએ અને સ્વચ્છતા જાળવીએ. આપણે બધાએ સાથે મળીને 'સ્વચ્છ ગુજરાત' બનાવવાનું છે.

 આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે 'નમો સ્વચ્છતા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસમાં આરોગ્ય વિભાગ દ્વારા પહેલીવાર આટલા મોટા પાયે એક સાથે 12,000 થી વધુ આરોગ્ય કેન્દ્રો પર આ વિશાળ સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું હોવાનો મને ગર્વ છે. આગામી સાત દિવસ સુધી, હૉસ્પિટલના તમામ પરિસર જેવા કે શૌચાલય, બાલ્કની, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, પ્લમ્બિંગ, મેદાન અને બગીચાઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. આ માટે અમે તમામ જિલ્લાઓની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ડીડીઓ  અને જિલ્લા કલેક્ટરો સાથે સંકલન સાધ્યું છે. સફાઈ કામદારો સહિત તમામ સ્ટાફ મિત્રો આ અભિયાનમાં ભાગ લેશે.