Mon Jul 06 2026

Logo

વસઈ-વિરારમાં આફતનો વરસાદ: નાલાસોપારા એસટી ડેપો પાણી પાણી, તોફાની પવન વચ્ચે જુહુ ચોપાટી પર એન્ટ્રી બેન

2026-07-06 10:08:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ/વસઈ: વસઈ-વિરારમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા અવિરત મુસળધાર વરસાદને કારણે સમગ્ર વાહનવ્યવહાર વ્યવસ્થા પડી ભાંગી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રિક્ષા સેવા, રાજ્ય પરિવહન (ST) ની બસો અને વસઈ-વિરાર મહાનગરપાલિકાની પરિવહન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.

સૌથી ખરાબ સ્થિતિ નાલાસોપારા પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં એસટી (ST) બસ ડેપો પરિસરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ડેપોમાં એટલી મોટી માત્રામાં પાણી ભરાઈ ગયું છે કે એક પણ બસ બહાર નીકળી શકે તેમ નથી. એટલું જ નહીં, બસ ડેપોની સાથે-સાથે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં પણ પાણી ઘૂસી જતાં સરકારી બસોનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, રસ્તાઓ પરથી પાણી ઓસર્યા બાદ જ આ સેવાઓ ફરી શરૂ થઈ શકશે.

જુહુ ચોપાટી પર તોફાની પવન, નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ
બીજી તરફ, મુંબઈમાં પણ વરસાદનું જોર યથાવત છે. એમાં પણ ખાસ કરીને મરીન ડ્રાઈવ, જુહુ ચોપાટી અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુસળધાર વરસાદની સાથે અત્યંત તીવ્ર ગતિએ ફૂંકાતા સોસાટના પવને તબાહી મચાવી છે. પવનની ગતિ એટલી પ્રચંડ છે કે ત્યાં ફરવા આવેલા નાગરિકો માટે જમીન પર સ્થિર ઊભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને લોકો પવનના જોરથી આગળ ધકેલાઈ રહ્યા છે.

હવામાનની આ પ્રતિકૂળ સ્થિતિ અને ખળભળેલા દરિયાને જોતાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે. પ્રશાસન દ્વારા જુહુ ચોપાટી પર નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban) લગાવી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને દરિયા કિનારે ન જવાની અને સરકારી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.