પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર રાતના ટેમ્પોમાં આગ લાગતાં 28 વર્ષના પંજાબના ડ્રાઇવરનું મોત થયું હતું, જ્યારે ક્લીનર ગંભીર રીતે ઘવાયો હતો. હાઇવે પર સોમતા નજીક મંગળવારે રાતે 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેને કારણે ટ્રાફિકને અસર થઇ હતી.
પાલઘર ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર પૂરપાટ વેગે જનારા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો. આ એટલી ભીષણ હતી કે ટેમ્પોના ડ્રાઇવર જવાન સિંહનું મોત થયું હતું, જ્યારે ટેમ્પો લઇ જવાઇ રહેલું મટિરિયલ બળીને ખાખ થઇ ગયું હતું.
ટેમ્પોનો ક્લીનર અને પંજાબનો રહેવાસી ગુરુસેવક સિંહ (38) સળગતા ટેમ્પોમાંથી બહાર કૂદી પડ્યો હતો અને બચી ગયો હતો, પણ તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘાયલ ક્લીનરને સારવાર માટે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાને કારણે હાઇવે પર થોડા કલાકો માટે ટ્રાફિક જૅમ સજાર્યો હતો. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)