ઉત્તર કન્નડા: કર્ણાટકના ઉત્તર કન્નડા જિલ્લામાં એક ભીષણ અકસ્માત થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એક ટ્રક અને ગાડી વચ્ચે થયો છે. 6 લોકોના મોત સાથે ત્રણ લોગો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે, જેમને સારવાર માટે સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાંતી લોકો દોડી આવ્યાં હતાં.
ફરવા જઈ રહેલા લોકોને નડ્યો અકસ્માત
આ અકસ્માત ઉત્તર કન્નડા જિલ્લાના યલ્લાપુરા તાલુકામાં આવેલા અરાબૈલ ઘાટ પર થયો છે. જ્યાં એક ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જેમાં છ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ કારમાં કુલ 9 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. આ લોકો ધારવાડથી ધર્મસ્થળા અને ચિકમગલૂરની યાત્રા કરવા માટે જઈ રહ્યાં છે. આ ગાડી જ્યારે અરાબૈલ ઘાટ પર પહોંચી ત્યારે બાલગર વિસ્તારમાં સામે આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, કારનો ભુક્કો થઈ ગયો હતો.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે યેલ્લાપુર સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. આ સાથે યેલ્લાપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની વાત કરવામાં આવે તો, આ તમામ મૃતકો પાર્ટ ટાઈમ ફુડ ડિલીવરી બોયનું કામ કરતા હતાં. બુધવારે ફરવા માટે નીકળ્યાં અને રસ્તામાં કાળ ભરખી ગયો! પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.