(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રિટિકલ મિનરલ રિસાઇક્લિગંને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ગયા ઓક્ટોબરમાં જાહેર કરાયેલી રૂ. ૧,૫૦૦ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજના સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે અને તેને રિસાઇક્લિગં ઉદ્યોગ તરફથી મજબૂત સમર્થન મળી રહ્યું છે.
આ યોજનામાં સિત્તેરથી વધુ રિસાયક્લિંગ કંપનીઓ પહેલાથી જ નોંધણી કરાવી ચૂકી છે અને દસથી વધુ કંપનીઓને સ્પષ્ટ પાત્રતા ધોરણો અને રોકાણ-સંબંધિત પ્રોત્સાહનો સાથે સ્વીકૃતિ આપવામાં આવી હોવાનું ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત જવાહરલાલ નેહરુ એલ્યુમિનિયમ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન સેન્ટરના ડિરેક્ટર ડો. અનુપમ અગ્નિહોત્રીએ જયપુરમાં મટિરિયલ રિસાઇક્લિગં એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મટિરિયલ રિસાઇક્લિગં કોન્ફરન્સ (આઇએમઆરસી) ૨૦૨૬ને સંબોધતા જણાવ્યું હતું.
ડો. અગ્નિહોત્રીએ ઉમેર્યું હતું કે આ યોજના ૨૭૦,૦૦૦ મેટ્રિક ટન રિસાઇક્લિગં ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય ધરાવે છે અને તે બે શ્રેણીના રિસાયકલર્સ માટે અલગ-અલગ પ્રોત્સાહનોઆપે છે, જેમાં રૂ. ૨૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી એ ગ્રુપની કંપનીઓ રૂ. ૫૦ કરોડ અથવા પ્લાન્ટ અને મશીનરીના ખર્ચના ૨૦ ટકા, બેમાંથી જે ઓછું હોય તે પ્રોત્સાહનો માટે પાત્ર છે, જ્યારે રૂ. ૨૦૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી બી ગ્રુપની કંપનીઓ રૂ. ૨૫ કરોડ અથવા પ્લાન્ટ અને મશીનરીના ખર્ચના ૨૦ ટકા સુધીના પ્રોત્સાહનો મેળવી શકે છે.
નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ હવે કાર્યરત માર્ગદર્શિકા, પાત્રતા ધોરણો અને સંસ્થાકીય પદ્ધતિઓ સાથે, વક્તાઓએ ભાર મૂક્યો હતો કે ગ્લોબલ સપ્લાય ચેઇન કડક બનાવવા વચ્ચે ફક્ત પ્રાથમિક ખાણકામ કરતાં રિસાઇક્લિગં ભારતના ક્રિટિકિલ મિનરલ્સ સુધી લાંબા ગાળાની પહોંચ સુરક્ષિત કરવાની ક્ષમતા નક્કી કરશે. ડો. અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, ભારતે ૨૪ મહત્વપૂર્ણ ખનિજો ઓળખી કાઢ્યા છે, જેમાંથી ઘણા સંપૂર્ણપણે અથવા મોટાભાગે આયાત આધારિત છે.
આ જોતાં સ્ક્રેપ ઉપલબ્ધતા, પ્રોસેસિંગ અને રિકવરીને વ્યૂહાત્મક પ્રાથમિકતા બનાવે છે. પાંચ થી છ વર્ષનો સમય સાંકડો છે. દેશો પહેલાથી જ સંસાધન રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યા છે. ટૂંક સમયમાં, તેઓ માત્ર અયસ્કની જ નહીં પરંતુ ભંગાર અને કચરાની નિકાસને પણ પ્રતિબંધિત કરશે. જો ભારત સુરક્ષિત સપ્લાય ચેઇન ઇચ્છે છે, તો તેણે સ્થાનિક રિસાઇક્લિગં અને રિકવરી ક્ષમતા ઊભી કરવા માટે હમણાં જ કાર્ય કરવું પડશે.
સપ્ટેમ્બર ૨૦૨૫માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ અને ઓક્ટોબરમાં જારી કરાયેલ માર્ગદર્શિકા દ્વારા કાર્યરત પ્રોત્સાહન માળખાની ડિઝાઇન સમજાવતા, ડો. અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે આ યોજના ટૂંકા ગાળાના વોલ્યુમ વિસ્તરણ કરતાં ભંગારમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળી પુન:પ્રાપ્તિને ઇરાદાપૂર્વક પ્રાથમિકતા આપે છે.