Sun Jun 14 2026

Logo

મહારાષ્ટ્રના પંઢરપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન કૂવામાં ખાબકી, 14 લોકોના કમકમાટીભર્યા મોત

2026-06-14 19:17:22
Author: Vimal Prajapati
Article Image

સોલાપુર: મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ વાન કૂવામાં પડી ગઈ. આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તમામ પીડિતો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હતા અને યાત્રા પર હતા. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે તેવી સ્થાનિક પોલીસ દ્વારા આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

આ લોકો સિદ્ધનાથ મંદિરે જઈને આવી રહ્યાં હતા 

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પંઢરપુર તાલુકાના રાંજણી ગામના આ લોકો એક પિકઅપ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. અચાનક વાહનચાલકે સંતુલન ગુમાવ્યું અને પિકએપ કૂવામાં પડી ગઈ હતી. વાહનમાં સવાર લોકો સિદ્ધનાથ મંદિરમાં આશીર્વાદ લેવા માટે મ્હસવડ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે, પિકઅપ તાંદુલવાડી ગામ નજીક એક કૂવામાં પડી ગઈ અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સમાચાર મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ

આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાકીના મૃતદેહો મેળવવાના પ્રયાસો ચાલુ છે. અકસ્માતના સમાચાર મળતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કામગીરી શરૂ કરી દીધી. દરમિયાન, ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.